ઈરાનના સશસ્ત્ર દળોએ ચેતવણી આપી
ઈરાનના સૈન્ય મુખ્યાલયના ડેપ્યુટી અસદીએ જણાવ્યું કે, અમેરિકી અધિકારીઓના હાલના નિર્ણયો પરથી સાબિત થાય છે કે, તેઓ રાજદ્વારી સમજૂતીઓ પ્રત્યે ગંભીર નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેરાન, તા.૨ મે ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. ઈરાનના સશસ્ત્ર દળોએ ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ ગમે ત્યારે ફરી શરૂ થઈ શકે છે. ઈરાનનો આરોપ છે કે, વોશિંગ્ટન કોઈપણ કરાર કે સંધિઓનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ઈરાનના સૈન્ય મુખ્યાલયના ડેપ્યુટી મોહમ્મદ જાફર અસદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકી અધિકારીઓના હાલના નિર્ણયો પરથી સાબિત થાય છે કે, તેઓ રાજદ્વારી સમજૂતીઓ પ્રત્યે ગંભીર નથી. અસદીએ અમેરિકા પર આક્ષેપ કરતા કહ્યું કે, “અમેરિકાના નિવેદનો માત્ર મીડિયા દ્વારા સંચાલિત છે. તેમનો હેતુ તેલના ભાવ ઘટતા અટકાવવાનો અને પોતે ઉભી કરેલી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો છે. અમારી સેના કોઈપણ નવી મૂર્ખામીનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા વાટાઘાટો માટે મોકલવામાં આવેલ નવો પ્રસ્તાવ ફગાવી દીધો છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, “તેઓ કરાર કરવા માંગે છે, પરંતુ તેઓ એવી છૂટછાટો માંગી રહ્યા છે જે મને મંજૂર નથી. હું આ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી.” ટ્રમ્પે ઈરાની નેતૃત્વ પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, ત્યાંનું નેતૃત્વ વિખેરાયેલું છે અને બે-ત્રણ જૂથોમાં વહેંચાયેલું છે.
એક જાહેર કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષનું કારણ સ્પષ્ટ કરતા કહ્યું કે, “આપણે પાગલ લોકોના હાથમાં પરમાણુ હથિયારો ન જવા દઈ શકીએ. આપણે આ યુદ્ધમાં એટલા માટે છીએ કારણ કે પરમાણુ સુરક્ષા સર્વોપરી છે.”
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ એક તરફ યુદ્ધ સમાપ્ત થયાનો દાવો કરે છે, તો બીજી તરફ ક્રૂડ અને પરમાણુ સુરક્ષાના નામે સૈન્ય ગતિવિધિઓ ચાલુ રાખવાની વાત કરે છે. ’વોર પાવર્સ રિઝોલ્યુશન’ (જે મુજબ ૬૦ દિવસમાં સંસદની મંજૂરી લેવી પડે છે) ને ટ્રમ્પે ગેરબંધારણીય ગણાવ્યું છે. આ દરમિયાન અમેરિકી સેનેટમાં યુદ્ધ રોકવાના ડેમોક્રેટ્સના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.

