તોલ-માપ વિભાગને મળ્યો ધમકીભર્યો ઈમેલ
સુરક્ષાના ભાગરૂપે તમામ કર્મચારીઓ કચેરીની બહાર નીકળી આવ્યા હતા અને આખું કેમ્પસ ખાલી કરી દેવાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૬ માર્ચ ૨૦૨૬ — ગાંધીનગરમાં આવેલા કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સેક્ટર-૧૦ સ્થિત આ ભવનના તોલ-માપ વિભાગને ઈમેલ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર,, કર્મયોગી ભવનના બ્લોક નંબર ૨માં આવેલી તોલ-માપ વિભાગની કચેરીમાં એક અનામી ઈમેલ આવ્યો હતો, જેમાં ભવનને ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. જેને લઈને કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે તમામ કર્મચારીઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી આવ્યા હતા અને આખું કેમ્પસ ખાલી કરી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, ઈમેલની જાણ થતા જ પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મહત્ત્વની સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. અગાઉ પણ અનેક જિલ્લાઓની પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા.

