તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો
ભાજપ છોડ્યાની સાથે જ તેમણે પોતાના નવા રાજકીય આંદોલન “ઇધુ નમ્મા ઇયક્કમ” ની જાહેરાત કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નઈ, તા.૬ જૂન ૨૦૨૬ — તમિલનાડુના રાજકારણમાં એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપ છોડ્યાની સાથે જ તેમણે પોતાના નવા રાજકીય આંદોલન ઇધુ નમ્મા ઇયક્કમ (આ આપણું આંદોલન છે) ની જાહેરાત કરી છે, જેને જનતા તરફથી અભૂતપૂર્વ અને રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળ્યો છે. આ નવા અભિયાનની શરૂઆતના માત્ર ૧૦ કલાકની અંદર જ ૧૦ લાખથી વધુ લોકો સભ્ય તરીકે નોંધણી કરાવી ચૂક્યા છે.
પોતાના નવા આંદોલનની આ અસાધારણ સફળતા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર માહિતી શેર કરતા અન્નામલાઈએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, “માત્ર ૧૦ કલાકમાં ૧૦ લાખથી વધુ કાર્યકર્તાઓનું રજીસ્ટ્રેશન એ આપણા સામૂહિક મિશન અને વિઝનમાં લોકોના વધતા જતા વિશ્વાસનો એક શક્તિશાળી પુરાવો છે”. આ આંદોલનની સફળતા માટે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓએ કાંચીપુરમના પ્રખ્યાત કામાક્ષી અમ્મન મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ પણ કરી હતી. બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે. અન્નામલાઈએ પોતાના રાજીનામા પત્રમાં પક્ષના વરિષ્ઠ નેતૃત્વનો આભાર માન્યો હતો, પરંતુ સાથે જ પક્ષ છોડવાનું મુખ્ય કારણ પણ સ્પષ્ટ કર્યું હતું.
તેમણે લખ્યું કે, તમિલનાડુના રાજકીય સંદર્ભમાં તેમના વિચારો અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વના વિચારો આપસમાં મેળ ખાતા નહોતા. નોંધનીય છે કે આ નિર્ણયના ત્રણ દિવસ પહેલા જ અન્નામલાઈએ નવી દિલ્હીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ભાજપ અધ્યક્ષ નિતિન નવીન, મહાસચિવ બી.એલ. સંતોષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન બાદથી જ અન્નામલાઈ નવી રાજકીય પાર્ટી બનાવશે તેવી અટકળો તેજ થઈ ગઈ હતી. ચૂંટણીમાં AIADMK સાથે ગઠબંધન કરીને ૨૭ બેઠકો પર ચૂંટણી લડવા છતાં અન્નામલાઈના નેતૃત્વમાં ભાજપને માત્ર ૩ ટકા વોટ શેર જ મળ્યો હતો.
અન્નામલાઈના આ મોટા નિર્ણયની સાથે જ તમિલનાડુ ભાજપમાં આંતરિક કટોકટી સર્જાઈ છે અને પક્ષમાં મોટા પાયે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. અન્નામલાઈના સમર્થનમાં તમિલનાડુ ભાજપના ઉપપ્રમુખ કરુ નગરજન અને મ્ત્નરૂસ્ ના રાજ્ય કાનૂની સંયોજક અભિલાષ ગોપીનાથન સહિત ૧૫ થી વધુ વરિષ્ઠ હોદ્દેદારોએ પણ પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે. આ તમામ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ નવી રાજકીય સફરમાં અન્નામલાઈની સાથે મજબૂતીથી ઉભા રહેશે.

