નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે પીએમ મોદીનું મોટું નિવેદન
મોદીએ ઈરાન-અમેરિકા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીથી પેદા થયેલા વૈશ્વિક ઊર્જા સંકટ, યુદ્ધ અને સપ્લાઈ ચેન સંબંધિત પડકારો પર ચિંતા વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેધરલેન્ડ, તા.૧૬ મે ૨૦૨૬ — પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ નેધરલેન્ડના પ્રવાસે છે અને અહીં તેમમે ભારતીય સમુદાયને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે અહીંનો માહોલ જોઈને એવું લાગે છે કે જાણે તેઓ ભારતમાં હોય. નેધરલેન્ડના ધ હેગને દુનિયા સિટી ઓફ પીસ તરીકે ઓળખે છે. પીએમ મોદીએ અહીં ભારતીય સમુદાયને સંબોધન કરતા અનેક મહત્વની વાતો શેર કરી. પીએમ મોદીએ કહ્યું કે આજનું ભારત મોટા સપના જોઈ રહ્યું છે. ભારતે ચાંદ પર જ્યાં દુનિયાનો કોઈ દેશ પહેલા પહોંચી શક્યો નથી ત્યાં પહોંચીને પણ ઈતિહાસ રચ્યો.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ તેમની નેધરલેન્ડના નેતૃત્વ સાથે વાતચીત થઈ ત્યારે તેમણે હંમેશા ભારતીય સમુદાયના વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે સમયની સાથે અનેક ચીજો બદલાઈ પરંતુ ભારતની સંસ્કૃતિ આજે પણ લોકોના દિલમાં વસેલી છે. સમય બદલાયો, પરંતુ સંસ્કાર અને પોતાનાપણું બદલાયું નથી.
પીએમ મોદીએ આજનો આ ૧૬ મેનો દિવસ ખુબ ખાસ ગણાવ્યો. તેમણે કહ્યું કે આજના દિવસે જ ૧૨ વર્ષ પહેલા ૨૦૧૪માં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. દાયકાઓ બાદ ભારતમાં સ્થિર અને પૂર્ણ બહુમતવાળી સરકાર બનવાનું નક્કી થયું હતું. એક એ દિવસ હતો અને એક આજનો દિવસ છે. કોટિ કોટિ ભારતવાસીઓનો વિશ્વાસ મને ન તો અટકવા દે છે કે ન તો થાકવા દે છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં જે સોલર પાર્ક બની રહ્યા છે તે વિશ્વમાં સૌથી મોટા પાર્કમાંથી એક છે. સૌથી ઊંચી અને સૌથી લાંબી ટનલ હોય, સૌથી ઊંચા અને સૌથી લાંબા પુલ હોય, સૌથી લાંબા એક્સપ્રેસ વે હોય, સૌથી મોટું મેટ્રો નેટવર્ક હોય, કે સૌથી મોટું સિવિલ એવિએશન નેટવર્ક હોય, સૌથી મોટું ઈલેક્ટ્રિફાઈડ રેલ નેટવર્ક હોય તેમાંથી અનેક આજે ભારતમાં બની રહ્યા છે.
પીએમ મોદીએ વર્તમાન સ્થિતિ પર ગંભીરતા વ્યક્ત કરતા કહ્યું કે પહેલા કોવિડ આવ્યો, પછી યુદ્ધ થવાના શરૂ થયા અને હવે વર્તમાન ઉર્જા સંકટ છે. આ દાયકો દુનિયા માટે આફતોનો દાયકો બની રહ્યો છે.
જો આ સ્થિતિઓ ઝડપથી નહીં બદલાય તો વીતેલા અનેક દાયકાઓની સિદ્ધિઓ પર પાણી ફરી વળશે. દુનિયાની વસ્તીનો મોટો ભાગ ફરીથી ગરીબીના દલદલમાં ધકેલાશે. આવી વૈશ્વિક સ્થિતિઓમાં આજે દુનિયા રેઝિલિએન્ટ સપ્લાય ચેનની વાત કરી રહી છે ત્યારે ભારત અને નેધરલેન્ડ્સ મળીને એક ભરોસાપાત્ર, પાદર્શક અને ભવિષ્ય માટે તૈયાર સપ્લાય ચેઈન બનાવવામાં લાગ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારતમાં દર મહિને ૨૦ બિલિયનથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે એટલે કે આખી દુનિયામાં થઈ રહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી અડધાથી વધુ ફક્ત ભારતમાં થાય છે. ૧૨ વર્ષ પહેલા દેશમાં ૫૦૦થી ઓછા સ્ટાર્ટઅપ હતા. આજે આ સંખ્યા વધીને ૨ લાખથી પણ વધુ થઈ છે.
ચીપ વિશે બોલતા તેમણે કહ્યું કે ભારત ચીપ મેકિંગમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં પણ મોટા પગલાં ભરવા જઈ રહ્યું છે. હાલ ભારતમાં ૧૨ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ પર કામ ચાલે છે. જેમાંથી બે પ્લાન્ટ્સમાં પ્રોડક્શન પણ શરૂ થઈ ચૂક્યું છે. એટલે કે હવે ચીપ પણ ડિઝાઈન્ડ ઈન ઈન્ડિયા, મેઈડ ઈન ઈન્ડિયા હશે.

