Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી. સૃષ્ટિ પરમાત્માનો પ્રથમ અવતાર છે. “બહુ ઓછા લોકોનું સન્માન ફૂલોથી થાય છે,વધારે લોકોનું સન્માન એની ભૂલોથી થાય છે” ત્યાગી થવું એ યોગીપણું છે,અનુરાગી થવું પણ યોગીપણું છે

સંતરામ મહારાજનાં ૧૯૪માં સમાધિ મહોત્સવ નિમિત્તે સંતરામ મંદિરનાં નેજા નીચે નડીઆદ ખાતે યોજાયેલી રામકથાનાં ચોથા દિવસે આરંભે

માનવસેવા સંસ્થાન દ્વારા વિશિષ્ટ પ્રકારની સૌ પ્રથમ વખત ટ્રેક્ટર ઉપર,કટોકટીની પરિસ્થિતિમાં કામ આવે એવી અંતિમ વાહિની તેમજ મા-બાપ વગરની ૨૧ દીકરીઓના સમૂહ લગ્નનો સંકલ્પ-વ્યાસપીઠના સાનિધ્યમાં અર્પણ વિધિ થયો.

જુનાગઢ પ્રેરણાધામના મહંત,ભાણ સાહેબની ભૂમિ કમીજળાથી જાનકીદાસ બાપુ,નિજાનંદ સ્વામી,ડાકોર દંડી આશ્રમનાં મહંત વિજયદાસજી સહિત અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિ રહી.

શિવ અનાદિ યોગી પણ છે,અનાદિ કવિ પણ છે.વાલ્મિકી આદિ કવિ છે અને યોગી પણ છે.

વાલ્મિકીની વાત વિસ્તારથી વર્ણવી બાપુએ ગઈકાલે અહીં કથાકાર ત્રિવેણીમાં જે વક્તવ્યો થયા એને માટે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને કહ્યું કે ચાર પ્રકારની વાણી અહીં રજૂ થઈ:ગિર્વાણ ગિરા-એ વેદની વાણી-સંસ્કૃતમાં હતી.પુરાણ ગિરા-પૌરાણિક વાણી,અવધૂતી નિર્વાણ ગિરા અને ગુરુવાણી એટલે કે ગુર્વાણ ગિરા અહીં રજૂ થઈ હતી.

જીવાત્મા અને પરમાત્માની અંદર જીવાત્માની ઓળખ સુલભ છે.પરમાત્માને જાણવો પણ સુલભ છે,પણ મહાત્મા દુર્લભ છે.સાધુને ઓળખવો કઠિન છે.આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી.આ જગતને કથાની બહુ જરૂર છે.

રામદાસ બાપુના ગ્રંથના થોડાક સૂત્રો વિશે વાત કરી અને કહ્યું કે જે ભોગી નથી એ યોગી છે.આપણી પ્રત્યેક ઇન્દ્રિયો ભોગનું કામ કરે છે.પણ કોઈનું રૂપ જોઈને કૃષ્ણનું દિવ્ય રૂપ યાદ આવે તો આંખનાં ભોગવવા છતાં એ ભોગ નથી.કોઈ પણ વ્યંજનના સ્વાદ વખતે પ્રભુ પ્રસાદ યાદ આવે.આપણે ઇન્દ્રિયોના ભોગથી બચીએ પણ સૃષ્ટિ છોડીને ભાગવાનું નથી.આ સૃષ્ટિમાં સૌ પ્રથમ અવતાર કોનો થયો?આદિ અવતાર?આ સૃષ્ટિ એ જ અવતાર છે.એ પછીના અવતારો સૃષ્ટિ ઉપર થયા છે.સૃષ્ટિ પરમાત્માનો પ્રથમ અવતાર છે.આવું જાણ્યા પછી બાકી બધું મિથ્યા છે એ વાત ભુલાઈ જશે. બ્રહ્મચર્ય,વાનપ્રસ્થ કે કોઈ આશ્રમની વાતમાં પડવાને બદલે કોઈનો આશ્રય ખોળી લેવો.

જે રોગી નથી,કુયોગી નથી,અભોગી નથી,ભોગી નથી એ યોગી છે.જે રાગી નથી,જે સહયોગી છે એ યોગી છે.

બહુ ઓછા લોકોનું સન્માન ફૂલોથી થાય છે,વધારે લોકોનું સન્માન એની ભૂલોથી થાય છે-આવું મૃગાંક શાહનું કહેવું છે.

ત્યાગી થવું એ યોગીપણું છે.

મિથ્યા ભાષણ,પરનારી તરફ કુદ્રષ્ટિ અને હથિયાર લઈને સમજ્યા વગરની હિંસા આ મોટું પાપ છે એવું સીતાજી વાલ્મિકી રામાયણમાં કહે છે.

અનુરાગી બનવું એ પણ યોગીપણું છે.

એ પછી રામ જન્મની કથા માંડતા ચાર ઘાટ પર ચાર કથાઓ થઈ.એ વખતનાં કુંભમાં જાગબલિક અને ભારદ્વાજ વચ્ચેની સંવાદમાં શિવ કથાનું ગાન થયું. એ શિવચરિત્રમાં પાર્વતી હિમાચલને ત્યાં જન્મ લે છે અને રામ તત્વ વિશે શિવને પૂછે છે.ભગવાન શિવ રામજનમના પાંચ કારણો કહે છે.ભગવાન રામ પોતાની સેના સાથે અયોધ્યાના દશરથના મહેલમાં કૌશલ્યાની કૂખે જન્મે છે અને વ્યાસપીઠ પરથી ત્રિભુવનને રામ પ્રાગટ્યની વધાઈ આપીને કથા વિરામ થયો.

 

કથા-વિશેષ:

આ કથા શા માટે કુંભ સ્નાન છે?

વિશેષ વક્તવ્ય શ્રેણીમાં ભાગવત ભાસ્કર ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ ખુબ સરસ મજાની વાત કરતા જણાવ્યું કે આ કથા પણ કુંભસ્નાન છે.કઇ રીતે?એક મંત્ર છે જેમાં કહેવાયું છે અમૃત ક્યાં છે?સમુદ્રમાં,ચંદ્રમામાં,પ્રિયતમાના મુખમાં,નાગલોકમાં, સ્વર્ગમાં.

આમ હોવા છતાં-સમુદ્રમાં અમૃત હોવા છતાં એ ખારો કેમ?ચંદ્રમા ક્ષય કેમ પામે?પ્રિયતમાનાં પતિનું શા માટે મૃત્યુ થાય?નાગની અંદર ઝેર કેમ છે?સ્વર્ગ લોકથી પતન શું કામ થાય છે?તો ખરેખર અમૃત ભગવતજનોના કંઠમાં એટલે કે ભાગવત કથામાં છે.માટે આ કથા કુંભસ્નાન છે.

Related posts

નીતિ નિર્માતાઓ માટે મજબૂત વળતર અને જવાબદારી પદ્ધતિઓ વિકસાવવાનો સમય આવી ગયો છે જેથી આરોપીઓને લાંબી ન્યાયિક પ્રક્રિયામાં કિંમતી સમય બગાડવો ન પડે.

Master Admin

Color, Culture, and Cuisine: How Marriott Celebrates Holi with Unique Dining and Events

Reporter1

30 જાન્યુઆરી શહીદ દિવસ: રાષ્ટ્રનો આત્મા તેના શહીદોમાં રહે છે, અને જ્યાં સુધી આપણે તેમને યાદ રાખીશું, ત્યાં સુધી ભારતની ચેતના જીવંત રહેશે.

Master Admin
Translate »