DMKનો રાહુલ ગાંધી પર પ્રહાર
કાર્યકરોને સંબોધતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, હવે પછી કોઈએ ભૂલથી પણ કોંગ્રેસ પર ભરોસો કરવો નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નઈ, તા.૨૪ મે ૨૦૨૬ –– તમિલનાડુના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો આવી ગયો છે. ફિલ્મોના સુપરસ્ટારમાંથી નેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ (TVK)ની લઘુમતી સરકારને કોંગ્રેસે ટેકો આપ્યો છે. આ સમર્થનની સાથે જ દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ) અને કોંગ્રેસ વચ્ચેનું વર્ષો જૂનું ગઠબંધન હવે સત્તાવાર રીતે તૂટી ગયું છે. આ રાજકીય પલટાથી નારાજ થયેલા DMKના નેતા ઉદયનિધિ સ્ટાલિને કોંગ્રેસ પર અત્યાર સુધીનો સૌથી મોટો અને આકરો પ્રહાર કર્યો છે. એટલું જ નહીં, DMKની સત્તાવાર બેઠકમાં તો કોંગ્રેસ માટે પીઠમાં છરો ભોંકનાર અને લોહી ચૂસતી જળો જેવા અત્યંત આકરા શબ્દોનો ઉપયોગ કરીને પોતાનો ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે.
એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, હવે પછી કોઈએ ભૂલથી પણ કોંગ્રેસ પર ભરોસો કરવો નહીં. તેમનામાં સામાન્ય વિવેક કે કૃતજ્ઞતા જેવું કંઈ છે જ નહીં. ડ્ઢસ્દ્ભના કાર્યકરોની રાત-દિવસની મહેનતના કારણે જ કોંગ્રેસના ૫ ધારાસભ્યો ચૂંટણી જીતી શક્યા છે. જનતાએ એમ.કે. સ્ટાલિનને મુખ્યમંત્રી બનાવવા માટે વોટ આપ્યા હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓ સત્તા અને કેટલાક હોદ્દાઓની લાલચમાં આપણને કહ્યા વગર જ બીજા પક્ષ સાથે ભાગી ગયા. તમિલનાડુની જનતા આવનારા સમયમાં કોંગ્રેસના આ દગાનો બરાબરનો પાઠ ભણાવશે.
ઉદયનિધિએ માત્ર તમિલનાડુ પૂરતું જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસને બરાબરની ઘેરી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, અત્યાર સુધી હું એવું જ માનતો હતો કે દેશભરમાં ભાજપની જીત પાછળ પીએમ મોદી અને અમિત શાહની રણનીતિ છે. પરંતુ હવે એ સાબિત થઈ ગયું છે કે ભારતમાં ભાજપના આટલા મોટા ઉદય માટે અસલી જવાબદાર કોંગ્રેસ પોતે જ છે.
આ અંગે ઉદયનિધિએ વધુમાં કહ્યું કે, ગત લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં અમારા નેતા એમ.કે. સ્ટાલિને કોંગ્રેસને આખા રાજ્યમાં પોતાના ખભા પર બેસાડીને વૈતરણી પાર કરાવી હતી, છતાં તેમણે આપણી જ પીઠમાં છરો ભોંક્યો છે. આ સાથે જ તેમણે પક્ષની યુવા પાંખના હોદ્દેદારોને ખાસ અપીલ કરી છે કે, તેઓ ઘરે-ઘરે જઈને પરિવારોમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા એક્ટિવ રહેતા નવા યુવા મતદારો (Gen Z) વચ્ચે રાજકીય જાગૃતિ લાવવાનું કામ ઝડપી કરે.
DMK પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ દાવો કર્યો છે કે વિજયની TVK સરકાર પોતાનો ૫ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં. તેમણે ગણિત સમજાવતા કહ્યું કે, તેમની પાસે ૧૩ અને ૧૦૭ મળીને કુલ ૧૨૦ ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે મોટો આંકડો બતાવવા માટે AIADMKને તોડવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા. આજે પણ આ સરકાર દિવાલ પર બેઠેલી બિલાડી જેવી છે, જે ગમે ત્યારે પડી શકે છે.

