પાકિસ્તાનથી મોકલાયેલો વિસ્ફોટક અને ગ્રેનેડ જપ્ત
આતંકીઓનો હેતુ દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરોમાં અંધાધૂંધી ફેલાવવાનો અને દેશના સૌથી પાવરફુલ તેમજ સંવેદનશીલ સ્થળો પર હુમલો કરવાનો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૦ મે ૨૦૨૬ — દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આતંકી સંગઠનના નેટવર્કનો પર્દાફાશ કરતા ૯ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ નેટવર્ક પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ, અંડરવર્લ્ડ ગ્રુપ દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા તત્વો અને પાકિસ્તાન-દુબઈ આધારિત ઓપરેટરો સાથે મળીને ભારતમાં મોટા આતંક કાવતરાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વિસ્ફોટક સામગ્રી, ગ્રેનેડ અને અત્યાધુનિક વિદેશી હથિયાર જપ્ત કર્યા છે.
સૂત્રો અનુસાર આ નેટવર્કના તાર પાકિસ્તાન અને દુબઈ સુધી જોડાયેલા છે. આ ધરપકડ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન અને પંજાબ સહિત વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાન દરમિયાન કરવામાં આવી. તપાસ એજન્સીઓનો દાવો છે કે, આરોપીઓને દેશના મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, નેટવર્ક ત્રણ લેવલ પર સંચાલિત થઈ રહી છે. સૂત્રો અનુસાર આખા ઓપરેશનનું માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનનું આઈએસઆઈ હતું, જ્યારે નેટવર્કનો એક ભાગ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમથી જોડાયેલા તત્વોના નિર્દેશન પર કામ કરી રહ્યો હતો. જ્યારે બીજા ભાગનું સંચાલન પાકિસ્તાન સાથે જોડાયેલા કથિત ઓપરેટર શહજાદ ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓ આ તમામ કડીઓની વિસ્તૃત તપાસ કરી રહી છે.
સૂત્રો મુજબ આતંકીઓના નિશાન પર દિલ્હી અને અન્ય મોટા શહેરોના મહત્વપૂર્ણ સ્થળો હતા. શક્ય ટાર્ગેટ્સમાં પાવર પ્લાન્ટ, વીજ ઉત્પાદન અને વિતરણ કેન્દ્ર, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એનર્જી ક્ષેત્રના અન્ય મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ સ્થળોએ હુમલો કરીને મોટી જાનહાનિ સાથે દેશની જરૂરી સેવાઓને ખોરવવાની યોજના બનાવવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મળેલી વિસ્ફોટક સામગ્રી કથિત રીતે સરહદ પારથી ભારતમાં લાવવામાં આવી હતી. એજન્સીઓ એ શોધી રહી છે કે વિસ્ફોટક અને હથિયારોની ખેપ દેશમાં કયા નેટવર્ક દ્વારા પહોંચાડવામાં આવી અને તેના પાછળ કયા કયા લોકો સંડોવાયેલા હતા. મળેલી સામગ્રીમાં ગ્રેનેડ અને અનેક અદ્યતન વિદેશી હથિયારોનો સમાવેશ થાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછના આધારે અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા છે. તપાસ એજન્સીઓ તેમના ડિજિટલ ઉપકરણો, સંચાર માધ્યમો અને નાણાકીય લેવડ-દેવડની પણ તપાસ કરી રહી છે, જેથી આખા નેટવર્કની રચના, ફંડિંગ અને વિદેશી સંપર્કો વિશે જાણકારી મળી શકે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ કાર્યવાહી દેશની સુરક્ષા માટે મોટી સફળતા છે, કારણ કે આથી એવા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેના કથિત કનેક્શન પાકિસ્તાનની ૈંજીૈં, દુબઈ આધારિત ઓપરેટર્સ અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા તત્વો સુધી પહોંચે છે. જોકે તપાસ હજુ ચાલુ છે અને અનેક તથ્યોની અધિકૃત પુષ્ટિ પોલીસની વિગતવાર બ્રીફિંગ પછી જ થઈ શકશે.

