Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

પૂર્ણતઃ આશ્રિતની આગળ ગુરુનું એક કવચ બની જાય છે. સદગુરુ આપણું અભેદ કવચ છે. સાધુનો કોઈ ધર્મ હોતો નથી,સાધુ સ્વયં ધર્મ છે. જેનામાં ઋષિઓની વાણી અને મુનિઓનું મૌન છે-એ સાધુ છે

 

માર્વેલસ માર્વેલા-સ્પેનની ભૂમિ પર ગવાઇ રહેલી રામકથાનો આજે છઠ્ઠો દિવસ,શ્રધ્ધાયુક્ત શ્રાધ્ધનાં દિવસોમાં પાંચ વિશેષ સ્મૃતિઓ: માતા,પિતા,આચાર્ય-ગુરુ,અતિથિ અને ઇષ્ટનું સ્મરણ ચાલી રહ્યું છે જેમાં ગત દિવસોમાં માતૃ અને પિતૃ સ્મૃતિ વિશે સંવાદ થયો.
દેવી ભાગવતમાં પ્રકૃતિ પંચધા સ્મૃતા છે એ શ્લોક બાપુએ સમજાવીને કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાના બુદ્ધપુરુષના ચરણમાં સમર્પિત થઈ ગયા પછી એના ઉપર મંત્ર-તંત્ર,જાદૂ-ટોના વશીકરણની અસર થાય કે નહીં?આશ્રિત કોઈના પ્રભાવમાં આવી શકે કારણ કે આ બધી જ વિદ્યાનો પ્રભાવ તો છે જ.પણ જે પૂર્ણતઃઆશ્રિત છે એને કંઈ ન કરી શકે.આપણી અવસ્થા ઉપર અને આપણું માનસિક સંતુલન બગાડી જરૂર શકે,ડામાડોળ પણ આ પ્રકારના વશીકરણ કરી શકતા હોય છે.
ઇન્દ્ર આદિ દેવતાઓએ મેલી વિદ્યાનો પ્રયોગ અયોધ્યાવાસીઓ ઉપર કર્યો અને સરસ્વતીને જ્યારે કહ્યું કે ભરતની મતિ પણ ફેરવી દે ત્યારે સરસ્વતી ઈન્દ્રને ખૂબ ખીજાયા અને કહ્યું કે આપ હજાર આંખવાળા હોવા છતાં મેરુ દેખાતો નથી! રામાયણના પાત્રોની માળામાં ભરત મેરુ છે.સરસ્વતિ બધાની બુદ્ધિ ભમાવી દે છે રામચરિત માનસમાં એક વખત સરસ્વતિની બુદ્ધિ પણ ભમી જાય છે.
આપની સ્થિતિ હરિનામને કારણે ઉપર ઉઠી જાય અને જનકપણું આવી જાય તો દેવમાયા સ્પર્શ કરી શકતી નથી.પૂર્ણતઃ આશ્રિતની આગળ ગુરુનું એક કવચ બની જાય છે.સદગુરુ આપણું અભેદ કવચ છે સાધુનો કોઈ ધર્મ હોતો નથી,સાધુ સ્વયં ધર્મ છે. પરિચય માટે કદાચ આપણે કહીએ કે આ બૌધ સાધુ છે,આ જૈનસાધુ છે,આ સનાતન સાધુ છે.
રામો વિગ્રહવાન ધર્મ: રામ સાધુ છે.
જેનો જન્મ પણ દિવ્ય,કર્મ પણ દિવ્ય અને સ્વભાવ પણ દિવ્ય હોય એ સાધુ છે.જેનામાં ઋષિઓની વાણી અને મુનિઓનું મૌન છે-એ સાધુ છે.
આચાર્યની સ્મૃતિમાં બાપુએ કહ્યું કે કાગભુષંડીજીએ આપણને શીખવ્યું:
એક સૂલ મોહિ બિસરન કાઉ;
ગુરુ કર કોમલ સીલ સુભાઉ
એક પીડા હું વિસરી શકતો નથી.મહાકાલનાં મંદિરમાં મારા ગુરુ આવ્યા,એ હરિ અને હર બંનેમાં પ્રીતિ રાખનાર હતા.હું કેવળ શિવનો ઉપાસક.આથી મેં એનું અપમાન કરી દીધું.ગુરુની સામે ખોટું બોલવું, એની આજ્ઞાનું પાલન ન કરવું,આ બધું જ હોવા છતાં ગુરુ એટલા મહાન છે કે એ બધાને માફ કરી દે છે.
ભક્તિરસામૃતસિંધુ ગ્રંથમાં આચાર્ય ચરણમાં પ્રેમ પ્રગટ કેમ થાય એ મતલબનો શ્લોક છે:
આદૌ શ્રધ્ધા તત: સાધુ સંગોથ ભજનક્રિયાત્
તતો અનર્થનિવૃત્તિ: શાક્તતો નિષ્ઠા રૂચિસ્તત: યથાસક્તિ તતો ભાવ: તત: પ્રેમાભ્યુદચ્યતિ
અહીં પહેલું પગથિયું છે-શ્રદ્ધાવાન થવું પડે છે. આટલું કરવાથી દિમાગની ઉછળકૂદ બંધ થઈ જાય છે.એ પછી સાધુ સંગ,પછી ભજન ક્રિયા મન,ક્રમ, વચનની ચાલાકી છોડીને ભજન.ચોથું પગલું છે- અનર્થોથી નિવૃત્તિ આવે છે.આથી નિષ્ઠા પાક્કી થાય છે અને બુદ્ધપુરુષના ચરણોમાં રુચિ જાગે છે.એ પછી આસક્તિ જાગે છે.આઠમા સ્થાન ઉપર ભાવ પ્રગટ થાય છે અને ત્યારે આચાર્યના ચરણમાં પ્રેમનો અભ્યુદય થાય છે,પ્રેમ પ્રગટે છે.
કથાના ક્રમમાં વિશ્વામિત્ર સાથે નીકળ્યા પછી રામ તાડકાને ગતિ આપે છે.મારિચને દૂર ફેંકે છે.સુબાહુને ભસ્મ કરે છે.યજ્ઞ પૂરો કરીને અહલ્યાની પ્રતિક્ષાનાં યજ્ઞમાં જાય છે,એ પછી ધનુષ્યયજ્ઞ અને પરશુરામ સામેની કસોટી પાર કરે છે.આ રીતે સીતા રૂપી શક્તિ,શાંતિ,ભક્તિને પામવા માટે પાંચ પ્રકારની કસોટીમાંથી રામ પસાર થાય છે.ધનુષ્યભંગ પછી વિવાહ પ્રસંગમાં ચારે ભાઈઓના વિવાહ થાય છે જનકપુરમાં અનેક દિવસો સુધી જાન રોકાય છે અને કન્યાવિદાય પછી વિશ્વામિત્ર પણ અયોધ્યામાંથી વિદાય લે છે અને બાલકાંડનું સમાપન થાય છે.

કથા વિશેષ:
ગીતામાં એક શબ્દ છે મૌની.
મૌની મહાપુરુષના અનુભવથી શું શું થાય છે?
એ ધીરે ધીરે મંત્રદ્રષ્ટા થઈ જાય છે.
એમને મંત્રના દેવતા દેખાવા માંડે છે.
એ સૂત્રદાતા બની જાય છે.
મૌન આપણી ઉંમર વધારે છે.
મૌનથી ધીમે-ધીમે વર્ણ બદલે છે.
શાસ્ત્ર પોતાની રીતે જ પોતાના અર્થો મૌનીની આગળ ખોલવા માંડે છે.

Related posts

વસંત પંચમી એ જ્ઞાન અને અનાસક્તતાનો તહેવાર છે

Master Admin

આર્થિક સર્વે રજૂ,નાણાકીય વર્ષ ૨૭ માટે ૭.૨ટકા જીડીપી વૃદ્ધિ આગાહી કૃત્રિમ પર ધ્યાન કેન્દ્રિત સોના અને ચાંદીનો પણ ઉલ્લેખ – બધાની નજર બજેટ પર

Master Admin

Unnati Coffee Partners with Tribal Communities in Odisha to Promote Sustainable Agriculture and Ecotourism

Reporter1
Translate »