ગુજરાતમાં આપનો ઐતિહાસિક ઉદઘોષ
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં એએપી મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી જ્યારે નર્મદા જિલ્લામાં ભવ્ય જીત નોંધાવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૯ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ ખેલાતો આવ્યો છે. પરંતુ તાજેતરની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે ગુજરાતની જનતા હવે ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે કોંગ્રેસ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીને જોઈ રહી છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને રાજ્યના રાજકારણમાં નવો અધ્યાય લખ્યો છે.
ગોપાલ ઇટાલિયાએ પરિણામો પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ આપ પર અપાર વિશ્વાસ મૂક્યો છે. રાજ્યની ૧૩ તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવીને પોતાની સરકાર બનાવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી છે, જ્યારે નર્મદા જિલ્લામાં પાર્ટીએ બહુમતી સાથે ભવ્ય જીત નોંધાવી છે. ગોપાલ ઇટાલિયાએ આંકડાકીય સરખામણી કરતા જણાવ્યું કે, ૨૦૨૧ની ચૂંટણીમાં પાર્ટી પાસે માત્ર ૭૨ સીટો હતી. તેની સામે આ વખતે પાર્ટીએ કરેલું પ્રદર્શન માત્ર સુધારો નથી, પણ એક ઐતિહાસિક કૂદકો છે. ગુજરાતના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય કોઈ ત્રીજા પક્ષને આટલી મોટી સંખ્યામાં સીટો મળી હોય તેવું પ્રથમવાર બન્યું છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ જીત ગુજરાતની જનતાની છે. આશરે ૬૦૦૦ જેટલા ક્રાંતિકારી અને નિડર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરીને લોકશાહી બચાવવા માટે લડ્યા હતા.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હોવાનો ઉલ્લેખ કરતા ઇટાલિયાએ ઉમેર્યું કે, સત્તા પક્ષ દ્વારા દબાણ, નાણાકીય શક્તિ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરવા છતાં આપના કાર્યકરો ડગ્યા વગર મેદાનમાં ટકી રહ્યા હતા. કાર્યકરોની આ મજબૂતી અને નિડરતાને કારણે જ આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ છે.

