Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

વામન લાગતી પોથી જ્ઞાન,કર્મ,ભક્તિનાં ત્રણ પગલાંથી સમગ્ર બ્રહ્માંડ માપે છે

 

આદેશ,ઉપદેશ અને સંદેશ સદૈવ બીજા માટે જ હોય છે.

કથા અમૃતની ખેતી છે અહીં કેસર ઉગાડાય છે.

ક્યારેય કોઈની ઉપેક્ષા નહીં તો પણ થોડુંક અંતર રાખવું જરૂરી છે.

દરેક વાત ઉપર અહંકાર કરનાર ગુણીજનોનું પણ પતન થાય છે.

સંબંધ બંધનમાં નાખે છે.

કથા સુખ નથી દેતી,આનંદ આપે છે.

બુદ્ધપુરુષ દ્રઢાશ્રયમાં પ્રાપ્ત થાય છે.

 

ઉતરાખંડનું ચમૌલી,જ્યાંથી અડીને ચારધામનાં યાત્રાળુઓ પસાર થાય છે,જ્યાં ગંગા,યમુનાની મૂળ ધારાઓ વિધ-વિધ રીતે એકબીજામાં ભળીને,મળીને  પંચ પ્રયાગોમાં પરિવર્તિત થાય છે એવું એક નંદ પ્રયાગ.વરસાદી ને ખુશનુમા વાતાવરણ,સિમિત સંખ્યામાં શ્રોતાઓ વચ્ચે ત્રીજા દિવસની કથા માંડતા બાપુએ પહેલા યથા સમય અમુક જીજ્ઞાસાઓનાં સંતોષ કારક ઉત્તરો આપતા કહ્યું કે એક વાત તો પાકી છે કે લોકો કથા માટે જ કથામાં આવે છે!તો પણ કથાના દિવસોમાં જ બીજા ઉપર ક્રોધ શું કામ આવે છે?ક્યારેક ક્રોધ આવે,સમગુણી મળી જાય તો નિંદા કરવા લાગે!એકલા હોય ત્યારે ઈર્ષા જાગે! આવું કેમ?

સૂત્રના રૂપમાં સમજીએ તો આદેશ,ઉપદેશ અને સંદેશ સદૈવ બીજા માટે જ હોય છે.પણ જો આ પોતા માટે થઈ જાય તો શ્રોતા-ગુણાતિત શ્રોતાનો જન્મ થાય છે.આવું થવાનું કારણ છે આપણે તમોગુણ લઈને આવીએ છીએ આથી જ ક્રોધ અને દ્વૈષ ઉત્પન્ન થાય છે.

કથા અમૃતની ખેતી છે અહીં કેસર ઉગાડાય છે.પણ છતાંય ક્યારેય કોઈની ઉપેક્ષા નહીં તો પણ થોડુંક અંતર રાખવું જરૂરી છે.દરેક વાત ઉપર અહંકાર કરનાર ગુણીજનોનું પણ પતન થાય છે.સંબંધ બંધનમાં નાખે છે.કથા સુખ નથી દેતી,કથા આનંદ આપે છે.સુખ અને આનંદમાં અંતર હોય છે. રામચરિત માનસમાં વાલ્મિકીજી પોતાનું સ્થાન ક્યારે છોડ્યું નથી પરંતુ રામને રહેવા માટે ૧૪ સ્થાન બતાવે છે.

બુદ્ધપુરુષ ક્યાં મળશે? જેમ ડોકટરોએ રોગીઓની વચ્ચે રહેવું જોઈએ એમ સાધુ પણ ખલમંડળીની વચ્ચે મળશે.પોકાર કરવાથી મળશે.કોઈ બંધનના સ્થાનમાં મળશે.

પણ બુદ્ધપુરુષને વિચારથી કે ભૌતિક રીતે નહીં પણ હૃદયથી મેળવી શકાશે.છતાં પણ ખલમંડળીમાં ન શોધો,બંધનના સ્થાનમાં પણ ન શોધો,આપણી પોકાર પણ ક્યારેક અલગ હોય છે ત્યાં પણ ન ખોજો.માત્ર અને માત્ર દ્રઢાશ્રયમાં બુદ્ધપુરુષ આપણને પ્રાપ્ત થશે.

પરીક્ષિતનો એક જ કથાથી મોક્ષ કેમ થયો?કારણકે પ્રત્યેક ઇન્દ્રિયનો વિનય અને સ્નેહથી નિગ્રહ કર્યો હતો.યમ,નિયમ વગેરેનું બરાબર પાલન કર્યું હતું. શબ્દ જ નહીં સુર,સ્વર,તાલ અને લય પણ બ્રહ્મ છે ઉપનિષદ અન્નને પણ બ્રહ્મ કહે છે.

શંકરાચાર્યજીનો એક ગ્રંથ બ્રહ્મવિચાર વાંચવા જેવો છે.કથાની પોથી કદાચ વામન છે પણ એ વામનના ત્રણ પગલાં જ્ઞાન,કર્મ અને ભક્તિથી આખું બ્રહ્માંડ માપે છે.કથા જેવું શ્રેષ્ઠ માધ્યમ બીજું કોઈ નથી. કથામાં પતંજલિના યોગસૂત્રો સહજતાથી ઉતરે છે. યમ,નિયમ,આસન,ધ્યાન ધારણા અને સમાધિ સુધી પહોંચી જવાય છે.

તૈતરીય ઉપનિષદમાં વરુણનો પુત્ર ભૃગુ પિતાને પ્રશ્ન પૂછે છે એ ભૃગુવલ્લી પ્રકરણમાં ભૃગુ પૂછે છે કે બ્રહ્મ કોને કહે છે? ત્યારે વરૂણ કહે છે પાંચ વસ્તુને બ્રહ્મ કહેવાય છે.અત્યારે હું તને કહું એ માત્ર સાંભળી લે અને એક-એક વસ્તુને સમજવા માટે તપ કર પછી માનજે.એ પાંચ વસ્તુ:

અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત્-અન્નને બ્રહ્મ સમજ.

પ્રાણૌ બ્રહ્મેતિ વ્યજાનાત-પ્રાણને બ્રહ્મ સમજ.

જે બ્રહ્મ છે એમાં જન્મ,એમાં જીવન અને એમાં જ વિલય થાય છે.

મનો બ્રહમેતિ વ્યજાનાત-મનને બ્રહ્મ જાણ.

મનથી જ સંસાર શરૂ થાય છે,મનમાં જ રમમાણ રહે છે અને મનોવિલયમાં એનો લય થાય છે.

વિજ્ઞાનં બ્રહ્મેતિ વ્યજાનાત-વિજ્ઞાનને બ્રહ્મા જાણ. અને આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત- આનંદને બ્રહ્મ માન આનંદને બ્રહ્મ માનવા માટે પહેલા ચાર ચરણનું બરાબર પાલન કરવું પડશે.

એટલે જ વરૂણે કહ્યું કે અન્નની નિંદા ક્યારેય ન કરતો અને એટલે જ અનક્ષત્રને હું કાયમ બ્રહ્મક્ષેત્ર કહું છું.

એ પછી શિવ-પાર્વતી કુંભજ પાસે કથા શ્રવણ કરી આવતા રસ્તામાં એ ત્રેતાયુગની રામની લલિત નરલીલા જોઇ પાર્વતીને શંકા થાય છે,એકલી રામની પરીક્ષા કરે છે,નિષ્ફળ જાય છે,રામની લીલામાં ભ્રમિત થાય છે ને શિવ પાસે ખોટું બોલવામાં પણ પકડાય જાય છે-આ પૂરા શિવચરિત્રને વિસ્તારથી કહી કથાને વિરામ અપાયો.

Related posts

શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ

Reporter1

ભારતનો ડિજિટલ સૂર્યોદય—૬જી ક્રાંતિનો મંગલ પ્રારંભ અને ભવિષ્યની બદલાતી ક્ષિતિજો

Master Admin

બોસ ઈવેન્ટ દ્વારા પ્રસ્તુત નવલી નોરતાના ગરબે ઝૂમવા થઈ જાઓ તૈયાર

Reporter1
Translate »