Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ, ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન

DMKની વિચારધારા સામે ઉઠ્યા સવાલો

આ અગાઉ પણ તેઓ સનાતન ધર્મની સરખામણી રોગ સાથે કરીને તેને જડમૂળથી ખતમ કરવાની વાત કરી ચૂક્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુ,તા.૧૨ મે ૨૦૨૬ — તમિલનાડુ વિધાનસભામાં સંબોધન દરમિયાન ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન ધર્મ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ’સનાતન ધર્મ, જેણે લોકોને વિભાજિત કર્યા છે, તેનો નાશ થવો જોઈએ.’ આ નિવેદન બાદ ગૃહની અંદર અને બહાર ભારે હોબાળો મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તેઓ સનાતન ધર્મની સરખામણી રોગ સાથે કરીને તેને જડમૂળથી ખતમ કરવાની વાત કરી ચૂક્યા છે, જેના કારણે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

ભાજપના પ્રવક્તા સીઆર કેશવને ઉદયનિધિ સ્ટાલિનની આકરી ટીકા કરતાં તેમના નિવેદનને ઝેરી ગણાવ્યું છે. તેમણે ઉદયનિધિને તમિલનાડુના ’રાહુલ ગાંધી’ ગણાવીને એવો આક્ષેપ કર્યો કે તેઓ દેશમાં નફરત અને ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે.

કેશવને વધુમાં કહ્યું કે, જે રીતે રાહુલ ગાંધીએ પવિત્ર સેંગોલનું સન્માન ન જાળવ્યું અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કરીને તેનું અપમાન કર્યું, એ જ રીતે ઉદયનિધિ પણ હિન્દુઓની આસ્થા પર સતત પ્રહાર કરી રહ્યા છે.

ભાજપે DMK સરકારની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવતા આકરા પ્રહારો કર્યા છે. સીઆર કેશવને આક્ષેપ કર્યો કે તમિલનાડુના મુખ્યમંત્રી ક્યારેય જનતાને દિવાળીની શુભકામનાઓ પાઠવતા નથી અને તેમની પાર્ટીએ ’કાર્તિગઈ દીપમ’ જેવા ધાર્મિક ઉત્સવનો પણ વિરોધ કર્યો હતો. તેમણે ચેતવણી આપતાં જણાવ્યું કે, તમિલનાડુના રાજકીય પ્રતીકમાં જ મંદિરનું ’ગોપુરમ’ આવેલું છે, જે રાજ્યની ઓળખ છે. આવી સ્થિતિમાં લોકો પોતાની આસ્થાનું અપમાન લાંબો સમય સહન નહીં કરે અને આવનારા સમયમાં આનો યોગ્ય જવાબ આપશે.

ઉદયનિધિ સ્ટાલિનના આવા નિવેદનોને અગાઉ કોર્ટે પણ ગંભીર ગણાવ્યા છે. આ વર્ષે ૨૦ જાન્યુઆરીએ મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે ઉદયનિધિના ભાષણો ’હેટ સ્પીચ’ની શ્રેણીમાં આવે છે. કોર્ટે નોંધ્યું હતું કે ’સનાતન ઓઝિપ્પુ’ (સનાતનનો નાશ) જેવા શબ્દોનો ઉપયોગ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. વારંવાર આવી ટિપ્પણીઓને કારણે ઉદયનિધિ સ્ટાલિન સતત કાયદાકીય અને રાજકીય વિવાદોના કેન્દ્રમાં રહ્યા છે.

Related posts

બાંગ્લાદેશે ભારતનો ૯૬૦ કરોડનો પ્રોજેક્ટ રદ કરી નાખ્યો

Master Admin

‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે મમતા બેનરજીને આપી સાંત્વના

Master Admin

બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી ૧૨ ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ

Master Admin

Leave a Comment

Translate »