દિલ્હીમાં હોટલમાં લાગેલી આગમાં ૨૧ ના મોત થયા હતા
લવકેશ બજાજના વકીલોએ કોર્ટમાં પોલીસ કસ્ટડીનો વિરોધ કર્યો હતો, ધરપકડની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ જૂન ૨૦૨૬ — દિલ્હીના માલવિય નગરમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ૨૧ લોકોના મોત થયા હતા. પોલીસે આ કેસના સંદર્ભમાં હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે. ગુરુવારે તેને દક્ષિણ દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સાકેત કોર્ટે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. લવકેશ બજાજના વકીલોએ કોર્ટમાં પોલીસ કસ્ટડીનો વિરોધ કર્યો હતો. ધરપકડની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. આ દલીલને ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે ધરપકડ કાયદેસર અને નિયમો અનુસાર હતી. દિલ્હી પોલીસે પૂછપરછ માટે લવકેશ બજાજના ચાર દિવસના પોલીસ રિમાન્ડની વિનંતી કરી હતી, જે કોર્ટે મંજૂર કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે હોટલ સ્ટાફની તપાસ કરવી જરૂરી છે.
લવકેશ બજાજના વકીલે વિનંતી કરી હતી કે વિગતો તેમના ક્લાયન્ટ સમજે તેવી ભાષામાં પૂરી પાડવામાં આવે.
તેમણે એવી પણ દલીલ કરી હતી કે હોટલ માલિક પણ ભોગ બનેલા લોકોમાંનો એક હતો અને તેમની ઇમારત પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. વકીલે એવો પણ દાવો કર્યો હતો કે હોટલ માલિકની ધરપકડમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું.
વકીલે જણાવ્યું હતું કે ધરપકડના મેમો અને કેસ ડાયરીમાં ધરપકડ માટેના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં તે કોર્ટ દ્વારા તપાસવાની જરૂર છે. હોટલ માલિકના વકીલે ધરપકડને ગેરકાયદેસર ગણાવી અને દલીલ કરી કે તેમના ક્લાયન્ટને મુક્ત કરવામાં આવે. ફરિયાદ પક્ષે વળતો જવાબ આપતા કહ્યું કે ધરપકડ માટેના કારણો પહેલાથી જ પૂરા પાડવામાં આવ્યા છે.
ફરિયાદ પક્ષ એટલે કે પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે લવકેશ બજાજ બહાર રહેશે તો હોટલ સ્ટાફને પ્રભાવિત કરી શકે છે. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે હોટલ સ્ટાફની હજુ સુધી પૂછપરછ કરવામાં આવી નથી. દિલ્હી પોલીસે કોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે તપાસ માટે ફોરેન્સિક ટીમ બનાવવામાં આવી હતી, પરંતુ ગરમી એટલી તીવ્ર હતી કે ટીમ અંદર પ્રવેશી શકી નહીં. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળેથી પાછી ફરી હતી.

