ગુજરાતમાં મોતના વાયરસનો વધી રહ્યો છે કહેર!
રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૧૮૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ૩૫ કેસ પોઝિટિવ આવ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૫ ઓગસ્ટ ૨૦૨૬– રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૧૮૪ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાંથી લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન ૩૫ કેસ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે. આ વાયરસના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે અને અત્યાર સુધીમાં શંકાસ્પદ કેસોમાંથી ૨૨ બાળકોના કરૂણ મૃત્યુ થયા છે.
હાલમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં ૭ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે સ્થિતિમાં સુધારો થતાં ૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે ગાંધીનગર, સાબરકાંઠા-હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ૈંઝ્રેં બેડમાં દાખલ કરવા માટે સ્પષ્ટ અને સખત સૂચનાઓ જારી કરવામાં આવી છે.
વાયરસના ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વાયરસનું વહન કરતી સેન્ડફ્લાય (રેતીની માખી) ના ઉપદ્રવને નિયંત્રિત કરવા પશુપાલન વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. માટી કે કાચા મકાનોની તિરાડો, જ્યાં આ માખીઓ આશ્રય લે છે, તેને પૂરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
ચાંદીપુરા વાયરસ ખાસ કરીને નાના બાળકોને ઝડપથી પોતાની ચપેટમાં લે છે. જો બાળકોમાં તાવ, ઊલટી કે ખેંચ જેવાં કોઈ પણ લક્ષણો જણાતાં જ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
સમયસર નિદાન અને સારવાર જ આ વાયરસ સામે રક્ષણ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

