ટેરિફ મુદ્દે ટ્રમ્પ સામે અમેરિકામાં કાનૂની પડકાર
આ ટેરિફને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યા છે આ કેસને વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૪ ઓગસ્ટ ૨૦૨૬ — અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત લગભગ ૬૦ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને લઈને હવે અમેરિકાની અંદર જ મોટો કાનૂની વિવાદ ઊભો થયો છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વ હેઠળના ૨૫ અમેરિકન રાજ્યોએ યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં ટ્રમ્પ વહીવટીતંત્ર સામે અરજી દાખલ કરીને આ ટેરિફને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યા છે. આ કેસને વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
અરજદારોનું કહેવું છે કે સેક્શન ૩૦૧ હેઠળ લાગુ કરાયેલા ટેરિફ કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન કર્યા વિના અમલમાં મૂકવામાં આવ્યા છે. તેમના મતે આ નિર્ણયનો સીધો બોજ અમેરિકન ગ્રાહકો, આયાતકારો અને સ્થાનિક વ્યવસાયો પર પડી રહ્યો છે. રાજ્યોએ કોર્ટને વિનંતી કરી છે કે આ ટેરિફને અમાન્ય જાહેર કરવામાં આવે.
ભારત પર હાલમાં ૧૦ ટકા ટેરિફ લાગુ છે. અગાઉ અમેરિકા દ્વારા ૧૨.૫ ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ભારતે બળજબરીથી મજૂરી કરાવીને બનાવવામાં આવતા ઉત્પાદનોની આયાત સામે કડક નીતિ અપનાવ્યા બાદ આ દર ઘટાડવામાં આવ્યો હતો. તેમ છતાં, વેપાર સંબંધિત કેટલીક તપાસો હજુ ચાલુ છે.
ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સ અને ગવર્નર કેથી હોચુલ સહિતના નેતાઓએ દલીલ કરી છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે સેક્શન ૩૦૧નો ઉપયોગ તેના મૂળ હેતુથી અલગ રીતે કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, થોડાક ઉત્પાદનોમાં જ મજૂરીના શોષણ અંગે પ્રશ્નો હોવા છતાં અનેક દેશો સામે વ્યાપક ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે.
કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ પણ આ પગલાંની ટીકા કરતાં જણાવ્યું કે ટેરિફનો અર્થ અંતે ગ્રાહકો પર વધારાનો કર લાદવા જેવો છે. તેમણે દાવો કર્યો કે આ નીતિના કારણે અમેરિકન પરિવારો અને નાના વ્યવસાયોને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે.આ કેસમાં યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (ેંજીન) કાર્યાલય પર પણ જરૂરી રજૂઆતો અને વાંધાઓને પૂરતું મહત્વ ન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજદારોનું માનવું છે કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોત તો આ પ્રકારનો વ્યાપક ટેરિફ અમલમાં આવ્યો ન હોત.
આ સમગ્ર વિવાદે વૈશ્વિક વેપાર બજારોમાં અનિશ્ચિતતા વધારી છે. વિશ્લેષકોના મતે, જો કોર્ટ ટેરિફ સામે નિર્ણય આપે તો અમેરિકાની વેપાર નીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. બીજી તરફ, જો ટ્રમ્પ વહીવટીતંત્રને રાહત મળે તો આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોમાં તણાવ વધુ વધી શકે છે.
હવે સમગ્ર વિશ્વની નજર અમેરિકાની કોર્ટના આગામી નિર્ણય પર છે, કારણ કે તેનો સીધો પ્રભાવ ભારત સહિત અનેક દેશો સાથેના વેપાર અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડી શકે છે.

