વડોદરા, ગુજરાત | ૦૨ મે ૨૦૨૬ | ગુજરાતની અસ્મિતા સમાન અને લુપ્ત થતી જતી ‘માણભટ્ટ આખ્યાન પરંપરા’એ ૨૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે એક અનોખો વૈશ્વિક કીર્તિમાન સ્થાપ્યો છે. પ્રખ્યાત માણભટ્ટ આખ્યાનકાર વ્યાસ બ્રધર્સ કલ્પેશ વ્યાસ અને ચેતન વ્યાસ દ્વારા રજૂ કરાયેલ આ કાર્યક્રમ ગુજરાતની લોકકલાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવનાર સાબિત થયો છે.
વિશ્વમાં પ્રથમ વખત ‘ડ્યુઅલ માણભટ્ટ’નો ઇનોવેટિવ પ્રયોગ કરાયો. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘ડ્યુઅલ માણભટ્ટ કોન્સેપ્ટ’ રહ્યું. જેમાં પ્રથમ વખત એકસાથે બે માણભટ્ટ કલાકારો દ્વારા ‘માણ’ વગાડી આખ્યાન અને લગ્ન ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી. આ અનોખા પ્રયોગે માણભટ્ટ પરંપરાના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું અને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
લગ્ન પ્રસંગના ભાગરૂપે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર, ગુજરાતી ભાતીગળ લગ્ન ગીતો અને માણભટ્ટ આખ્યાન શૈલીનો અદભુત સમન્વય જોવા મળ્યો. પવિત્ર વૈદિક શ્લોકોના ગુંજતા સ્વરો સાથે લોકજીવનની સુગંધ ધરાવતા ગીતોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને દિવ્ય બનાવ્યું.
વ્યાસ બ્રધર્સ સાથે ૩૧ કુશળ સંગીતકારોની વિશાળ ટીમે એકસાથે સંગીતના સૂરો રેલાવીને કાર્યક્રમને ભવ્ય અને અવિસ્મરણીય બનાવ્યો. આ સંગીતમય સમન્વયે કાર્યક્રમને વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ અપાવી છે.
જે પરંપરા મહાન કવિ પ્રેમાનંદ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેને આધુનિક યુગમાં નવી દિશા આપવાનો વ્યાસ બ્રધર્સનો આ પ્રયાસ કલા જગતમાં વખાણનીય બન્યો છે. વૈદિક શ્લોકોની પવિત્રતા અને ગુજરાતી લગ્ન ગીતોની મધુરતાનો આ સંગમ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહરના પુનરોત્થાનનું પ્રતિક બની રહ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત કલા પ્રેમીઓએ વ્યાસ બ્રધર્સના આ સાહસિક અને ઇનોવેટિવ પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે, આ પહેલ આવનારી યુવા પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે અને લુપ્ત થતી જતી માણભટ્ટ કલા વૈશ્વિક સ્તરે નવી ઓળખ મેળવશે. આ કાર્યક્રમ ગુજરાતી કલા, સંસ્કૃતિ અને પરંપરાના ગૌરવને ઉજાગર કરતો ઐતિહાસિક મોખરાનો પ્રસંગ સાબિત થયો છે.

