Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

PoKમાં બર્બરતા છુપાવવા પાકિસ્તાન ફેલાવી રહ્યું છે ફેક ન્યૂઝ

વિદેશ મંત્રાલયે લગાવી આકરી ફટકાર

પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી હિંસક કાર્યવાહીના કેટલાક દિવસો બાદ પણ ત્યાં ભારે તણાવની સ્થિતિ બનેલી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૯ જૂન ૨૦૨૬ — ભારતે મંગળવારે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન પોતાના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર(PoK)માં થઈ રહેલા માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન પરથી વૈશ્વિક સમુદાયનું ધ્યાન ભટકાવવા માટે મોટા પાયે ફેક ન્યૂઝ (ખોટા સમાચાર) અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યું છે. PoKના રાવલકોટ(RawalakO)માં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી હિંસક કાર્યવાહીના કેટલાક દિવસો બાદ પણ ત્યાં ભારે તણાવની સ્થિતિ બનેલી છે.

PoKમાં સર્જાયેલી હિંસક પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતાં ભારતના વિદેશ મંત્રાલય(MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, ’ભારતે પાકિસ્તાન તરફથી આવી રહેલા ફેક ન્યૂઝ અને એડિટેડ વીડિયોની એક ચોક્કસ પેટર્ન નોંધી છે. આ પાકિસ્તાન સરકાર અને ત્યાંની સેના દ્વારા પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટેનો એક અત્યંત નિરાશાજનક પ્રયાસ છે.’વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થાનિક જનતા પર થઈ રહેલા પોલીસ દમનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સત્તાવાર રીતે દાવો કર્યો કે, ’તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પાકિસ્તાની સેનાની ગોળીબારમાં કેટલાય પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે અને અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પોલીસ અને લશ્કરી બર્બરતાના અત્યંત ગંભીર અહેવાલો સામે આવી રહ્યા છે. અમને પૂરી આશા છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને તેની આ ક્રૂરતા, અત્યાચારો અને ખોટા કાર્યો માટે વૈશ્વિક સ્તરે ચોક્કસપણે જવાબદાર ઠેરવશે.’

ભારત તરફથી આ આકરું નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે રાવલકોટમાં પાકિસ્તાની સૈન્ય દળો (આસિમ મુનીરના નેતૃત્વ હેઠળની પાક સેના) દ્વારા પ્રદર્શનકારીઓ પર સીધું અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સત્તાવાર આંકડાઓ મુજબ આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૭ લોકોના મોત થયા છે. જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને સ્થાનિક સંગઠનોનો દાવો છે કે, વાસ્તવિક મૃત્યુઆંક આના કરતાં ઘણો વધારે હોઈ શકે છે. જો કે, આ વીડિયોની હજુ સુધી કોઈ સ્વતંત્ર સંસ્થા દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.હાલમાં સમગ્ર PoK વિસ્તાર એક સળગતો જ્વાળામુખી બનેલો છે કારણ કે સ્થાનિક નાગરિકો અને સંગઠનો પાકિસ્તાની વહીવટીતંત્રના શોષણ વિરુદ્ધ એકઠા થઈ રહ્યા છે. પાકિસ્તાની સત્તાધિકારીઓએ ચેતવણી આપી છે કે તેઓ PoKમાં પ્રદર્શનકારીઓ દ્વારા આયોજિત પ્રસ્તાવિત ’લોન્ગ માર્ચ’(Long March)ને કોઈપણ ભોગે અને શક્તિના જોરે રોકી દેશે. બીજી તરફ, આંદોલનના આયોજકોએ પણ પાકિસ્તાની સેના સામે પોતાનું પ્રદર્શન ચાલુ રાખવાનો મક્કમ સંકલ્પ જાહેર કર્યો છે.

Related posts

બંગાળમાં દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ખોલાશે : મોદી

Master Admin

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને હવે સડક માર્ગે બહાર કઢાશે

Master Admin

મહારાષ્ટ્ર સહિત ૭ રાજ્યોમાં ચોમાસાની થયેલી એન્ટ્રી

Master Admin

Leave a Comment

Translate »