અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આશરે ૯૭ વર્ષ અગાઉ શ્રી મહાલક્ષ્મી સોસાયટી રચાયેલ અને તેમાં ચારથી વધુ દાયકા અગાઉ સનાતન ધર્મના અતિ અલભ્ય વસંત પંચમીના પાવન અવસરે શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરનું નિર્માણ કરેલ. આ મંદિરમાં અલૌકિક સ્વરૂપ ધરાવતા શ્રી મહાલક્ષ્મી માતાજી પવિત્ર કમળ ઉપર બિરાજેલ હોય તેવી દૈદીપ્યમાન પ્રતિમા છે. જેથી સમગ્ર શહેરના શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરો પૈકીનું એક ગણાય છે અને તે સૌના માટે આસ્થાનું કેન્દ્ર અને ખુબ જ જાણીતું ધાર્મિક સ્થળ બનેલ છે. મંદિરમાં રોજબરોજ અનેક લોકો દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને દર શુક્રવાર તેમજ ધનતેરસ સહીત તમામ ધાર્મિક તહેવારોના સમયે અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે.
સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી દર્શનાર્થીઓની સુવિધાઓમાં ટ્રસ્ટ દ્વારા ક્રમશઃ સતત વધારો કરવામાં આવે છે. સાથેસાથે સમાજના જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાના ધ્યેય સાથે વિવિધ સુવિધાઓ જેવી કે, નિ:શુલ્ક અનાજ વિતરણ, આંખોની તપાસ અને ચશ્મા વિતરણ, સ્ટેશનરી વિતરણ, સમૂહ લગ્ન પ્રસંગે સાડીઓનું વિતરણ, મેડીકલ સહાય વિગેરે અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવે છે. મંદિરમાં આવતા દર્શનાર્થી નાગરિકોને વધુ સુગમતા રહે તેવી લાગણી સાથે મંદિરના જીર્ણોદ્ધાર સહિત વિભિન્ન સવલતોમાં વધારો કરેલ છે.
તા.૦૭ થી તા.૦૯ જુન, ૨૦૨૫ દરમ્યાન મંદિરના પ્રાંગણમાં દેવાધિદેવ શ્રી કમલેશ્વર મહાદેવજીની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવનું આયોજન કરેલ. ત્રિદિવસીય આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના અગ્રીય મહાનુભાવો તેમજ ખુબ મોટી સંખ્યામાં નાગરિકોએ સપરિવાર અનેરા ઉત્સાહભેર દર્શન અને પૂજનનો ભાગ લીધેલ.
મંદિરમાં દર્શનનો સમય: સવારે ૭.૩૦ થી બપોરે ૧૨.૩૦ અને સાંજે ૫.૦૦ થી રાત્રે ૮.૩૦ રહે છે.