તંત્રીની કલમે….
ભારતીય લોકશાહીનો રથ જ્યારે ૨૦૨૬ના ઉંબરે આવીને ઊભો રહ્યો છે, ત્યારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ જેવા રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ રાજ્યોમાં ચૂંટણીનો ગરમાવો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે. આ માત્ર સત્તા મેળવવાની લડાઈ નથી, પરંતુ ભારતની રાજનીતિના બે મુખ્ય પ્રવાહો — પ્રાદેશિક ગૌરવ અને રાષ્ટ્રીય વિસ્તારવાદ — વચ્ચેના મહાસંગ્રામની પૂર્વતૈયારી આ વર્ષની ચૂંટણીઓ સાબિત કરશે કે શું ભારતીય મતદાર હજુ પણ પોતાની સ્થાનિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાને કેન્દ્રીય નેરેટિવ કરતાં વધુ મહત્વ આપે છે કે કેમ.
પશ્ચિમ બંગાળની ભૂમિ પર આ વખતે રાજકીય સમીકરણો એક નવો વળાંક લઈ રહ્યા છે, જ્યાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પોતાની ’બંગાળી અસ્મિતા’ના કિલ્લાને મજબૂત કરવા મથામણ કરી રહી છે. દાયકાઓથી વિચારધારાઓના યુદ્ધનું સાક્ષી રહેલું આ રાજ્ય અત્યારે કેન્દ્રીય એજન્સીઓના દબાણ અને સ્થાનિક વહીવટી પ્રશ્નો વચ્ચે ઝૂલી રહ્યું છે. મમતા બેનર્જી જે રીતે બંગાળના સાંસ્કૃતિક પ્રતીકોને પોતાની રાજનીતિની ઢાલ બનાવી રહ્યા છે, તેની સામે રાષ્ટ્રીય ક્ષોના વિકાસ અને સુરક્ષાના એજન્ડાની આકરી કસોટી થવાની છે. બંગાળનો મતદાર હંમેશા ભાવનાપ્રધાન રહ્યો છે, અને આ વખતે પણ ભાવના અને શાસન વચ્ચેની ખેંચતાણ જ આ રમતનું પરિણામ નક્કી કરશે.
બીજી તરફ, દક્ષિણ ભારતનું તમિલનાડુ દ્રવિડિયન રાજનીતિના પાયા પર અડીખમ ઊભું છે. અહીં ’દક્ષિણ વિરુદ્ધ ઉત્તર’ની લડાઈ ભાષા અને અધિકારોના મુદ્દે વધુ તીવ્ર બની છે. એમ.કે. સ્ટાલિનની આગેવાનીમાં ડીએમકે જે રીતે રાજ્યની સ્વાયત્તતા અને તમિલ ગૌરવના મુદ્દાને ધાર કાઢી રહ્યું છે, તે જોતા રાષ્ટ્રીય પક્ષો માટે અહીં પગદંડો જમાવવો અત્યંત પડકારજનક બની રહેશે. તમિલનાડુની રાજનીતિ હંમેશા સ્વાભિમાનની આસપાસ ફરે છે, અને જ્યારે પણ કેન્દ્ર તરફથી કોઈ દબાણ અનુભવાય છે, ત્યારે ત્યાંની જનતા પ્રાદેશિક અસ્મિતાના પક્ષે વધુ મજબૂતીથી ઊભી રહે છે. ૨૦૨૬માં અહીં જે નવા ગઠબંધનો આકાર લઈ રહ્યા છે, તે લોકશાહીના સંઘીય માળખા માટે એક નવી દિશા નિર્ધારિત કરશે.
કેરળની વાત કરીએ તો, ત્યાંની રાજનીતિ હંમેશા પરિવર્તનના પક્ષે રહી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ડાબેરીઓ અને કોંગ્રેસની પારંપરિક લડાઈમાં જે રીતે ત્રીજા પરિબળનો ઉદય થયો છે, તેણે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. માજિક કલ્યાણની યોજનાઓ અને ધાર્મિક ધ્રુવીકરણ વચ્ચે કેરળનો સરેરાશ નાગરિક હવે માત્ર શાસનની શૈલી જ નહીં, પણ ભવિષ્યની સુરક્ષાને પણ મહત્વ આપી રહ્યો છે. કેરળનું આ રાજકીય મંથન આખા દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડશે કે શું શિક્ષિત મતદાર જૂની પરંપરાઓને તોડીને કોઈ નવો વિકલ્પ સ્વીકારવા તૈયાર છે કે કેમ.
આ ત્રણેય રાજ્યોની ચૂંટણીઓનો સાર એ છે કે ભારતની લોકશાહીમાં ’વિવિધતામાં એકતા’નો મંત્ર હવે નવા પડકારોનો સામનો કરી રહ્યો છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે ’વન નેશન’ના સૂત્ર સાથે સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો પ્રયાસ થાય છે, ત્યારે રાજ્યોની ગલીઓમાંથી ઉઠતો પ્રાદેશિક અવાજ વધુ બુલંદ બને છે. ૨૦૨૬ના વર્ષના અંતે જે પરિણામો આવશે, તે માત્ર રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ જ નક્કી નહીં કરે, પણ ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓ માટેનો વૈચારિક પાયો પણ નાખશે. અંતે તો, ભારતીય રાજનીતિનો અસલી સ્વાદ તેના પ્રાદેશિક રંગોમાં જ છુપાયેલો
છે, જે લોકશાહીને જીવંત અને ગતિશીલ રાખે છે.
નરેન્દ્ર જોષી

