- શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
- શંકરાચાર્યએ આ પગલાને ’સુનિયોજિત નાટક’ ગણાવ્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જે કોઈ પણ મંદિર તોડશે, તેને ઔરંગઝેબ જ કહેવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશ,તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૬: ઉત્તર પ્રદેશમાં સાધુ-સંતો અને સરકાર વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી એ ફરી એકવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. અયોધ્યામાં એક જીએસટી અધિકારીએ સીએમ યોગીના સમર્થનમાં રાજીનામું આપ્યા બાદ, શંકરાચાર્યએ આ પગલાને ’સુનિયોજિત નાટક’ ગણાવ્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “જે કોઈ પણ મંદિર તોડશે, તેને ઔરંગઝેબ જ કહેવામાં આવશે.”
વારાણસીમાં મીડિયા સાથે વાત કરતા શંકરાચાર્યએ અયોધ્યાના જીએસટી ડેપ્યુટી કમિશનરના રાજીનામા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “અયોધ્યા આ સરકારનું પ્રિય સ્થળ છે અને ત્યાંના અધિકારીઓ સીએમના માનીતા છે. આ અધિકારી દ્વારા આપવામાં આવેલું રાજીનામું માત્ર સ્વામી ભક્તિ અને ખુશામત છે. આ બધું એક પૂર્વયોજિત કાવતરું છે. સ્વામી અલંકારજીના રાજીનામાનો પ્રભાવ ઓછો કરવા માટે સરકારે મીટિંગ કરીને આ અધિકારી પાસે રાજીનામું અપાવ્યું છે.”
શંકરાચાર્યએ સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, “જો આ રાજીનામું સાચું હોય, તો યોગીજીએ તેને તાત્કાલિક સ્વીકારવું જોઈએ અથવા તે અધિકારીને સસ્પેન્ડ કરવો જોઈએ. પરંતુ અમને ખાતરી છે કે તેઓ એવું નહીં કરે, કારણ કે આ માત્ર વિષયને ભટકાવવાનો પ્રયાસ છે.”
પોતાના અગાઉના નિવેદનનો બચાવ કરતા શંકરાચાર્યએ કહ્યું કે, “અમે કોઈ અભદ્ર ભાષાનો પ્રયોગ નથી કર્યો. શું એ હકીકત નથી કે સેંકડો મંદિરો તોડી પાડવામાં આવ્યા? તમે અમારી નજર સામે મંદિરો તોડ્યા છે. જે વ્યક્તિ મંદિર તોડશે, પછી ભલે તે આદિત્યનાથ હોય કે બીજું કોઈ, તેને ઈતિહાસ ઔરંગઝેબ તરીકે જ ઓળખશે. મંદિર તોડવું એ મહાપાપ છે અને અમે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ સત્ય કહેતા રહીશું.”આ ઉપરાંત, શંકરાચાર્યએ યુજીસી ના નવા કાયદાઓ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારના કાયદાઓ જાતિવાદ ને પ્રોત્સાહન આપી રહ્યા છે અને સમાજમાં ભાગલા પાડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં યોગી આદિત્યનાથની સરખામણી ઔરંગઝેબ સાથે કરી હતી, જેના વિરોધમાં અયોધ્યાના એક અધિકારીએ રાજીનામું ધરી દીધું હતું. હવે શંકરાચાર્યએ વળતો પ્રહાર કરતા રાજકારણ ગરમાયું છે.

