- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ વિધિ’ અને આરતી કરી ધન્યતા અનુભવી
- અડાલજથી શરૂ થયેલી રથયાત્રા વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરી અન્નપૂર્ણા મંદિરે પહોંચશે, જ્યાં મહાપ્રસાદનું આયોજન
- જય જગન્નાથના નાદ સાથે અડાલજમાં પુરી જેવી ભવ્યતા, ભગવાનની નગરચર્યામાં ઉમટ્યો માનવ મહેરામણ
અડાલજ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી જગન્નાથ પુરીની ઝાંખી કરાવતી ભવ્ય રથયાત્રાનો મંગળ પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજીની નગરચર્યાના આ પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સુવર્ણની છાંટ વાળા સાવરણાથી ‘પહિંદ વિધિ’ કરી હતી અને ભગવાનની મંગળા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
અડાલજ જગન્નાથ મંદિરની રથયાત્રાનું આ પાંચમું વર્ષ છે. સવારે ૯:૦૦ કલાકે શરૂ થયેલી આ રથયાત્રા પૂર્વે મંદિર પ્રશાસન દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પહાર અને પરંપરાગત પાઘડી પહેરાવીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ‘જય જગન્નાથન’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર પરિસરેથી નીકળેલી આ રથયાત્રા શનિ મંદિર, ઉવારસદ બ્રિજ અને અડાલજ સર્કલ થઈને મા અન્નપૂર્ણા મંદિર ખાતે પહોંચશે. અન્નપૂર્ણા મંદિર ખાતે તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં અલ્પવિરામ બાદ રથયાત્રા પુનઃ નિજ મંદિરે પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવની પૂજા વિધિ અને આરતીમાં મુખ્યમંત્રીશ્રીની સાથે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિભાઈ અમીન સહિત અનેક પૂર્વ સનદી અધિકારીઓ, રાજકીય-સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવો તથા ગુજરાતમાં વસતા ઓડિશા વાસીઓએ ઉપસ્થિત રહી પ્રભુના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું.
== સમાપ્ત ==

