કેબિનવાળી આ ટ્રેનનું ભાડું ૯૦,૯૩૦ થી શરૂ
આ વિશેષ યાત્રા દિલ્હીથી શરૂ થઈ મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૭ પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરાવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ ઓગસ્ટ ૨૦૨૬ — ભારત સરકારના રેલ મંત્રાલય હેઠળ આવતી નવરત્ન પબ્લિક સેક્ટર કંપની, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા ખાસ ’ભારત ગૌરવ ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેન’ પર ’સપ્ત જ્યોતિર્લિંગ મહાયાત્રા’ નામના એક નવા આધ્યાત્મિક ટૂરિઝમ પેકેજની શરૂઆત કરવામાં આવી છે. આ વિશેષ યાત્રા દિલ્હીથી શરૂ થઈને મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ભક્તોને ૭ પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરાવશે અને ત્યારબાદ દિલ્હી પરત ફરશે. આ આધ્યાત્મિક યાત્રામાં શ્રદ્ધાળુઓ સૌથી પહેલા ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરશે. ઉજ્જૈનમાં એક રાત રોકાયા બાદ, યાત્રા ખંડવા તરફ આગળ વધશે જેથી નર્મદા નદી વચ્ચે બનેલા ટાપુ પર સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય. ત્યારબાદ ટ્રેનમાં રાતભરની મુસાફરી કરીને યાત્રાળુઓ ગુજરાતના દ્વારકા પહોંચશે. ગુજરાત પહોંચ્યા બાદ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર અને રુકમિણી દેવી મંદિરના દર્શન કરશે. ત્યારબાદ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકાની મુલાકાત લીધા પછી ટ્રેન સોમનાથ માટે રવાના થશે. પ્રવાસીઓ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર, સોમનાથ બીચ અને ભાલકા તીર્થની મુલાકાત લેશે.
ગુજરાત બાદ આ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. અહીં પુણે નજીક આવેલા ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. આગળ વધતાં પ્રવાસીઓ છત્રપતિ સંભાજીનગર પહોંચશે, જ્યાં તેઓ ઇલોરામાં કૈલાશ મંદિરની અદ્ભુત વાસ્તુકળા અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરશે. યાત્રાનો અંતિમ આધ્યાત્મિક પડાવ નાસિક રહેશે, જ્યાં ગોદાવરી નદીના કિનારે સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ અને પંચવટીની મુલાકાત લીધા બાદ ટ્રેન દિલ્હી માટે પરત રવાના થશે.
આ સુવિધાયુક્ત ટ્રેનમાં AC I, AC II અને AC III કેટેગરીના કેબિન, શુદ્ધ શાકાહારી ભોજન પીરસતા રેસ્ટોરન્ટ્સ, સુરક્ષા ફિચર્સ અને સ્પેશિયલ ટૂર મેનેજરની વ્યવસ્થા છે. સતત ટ્રેનમાં રાત વિતાવવાને બદલે હોટેલમાં પણ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.
પેકેજની કિંમતો (પ્રતિ વ્યક્તિ)
AC III Tier: 90,930
AC II Tier: 1,09,925
AC I Tier: 1,19,425

