Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
AwarenessbusinessEducationGujarat

લિબર્ટી કરિયર એકેડમીના કરિયર ગાઇડન્સ ટોક શોમાં UPSC-GPSC માટે હજારો વિદ્યાર્થીઓને મળ્યું નિષ્ણાતોનું માર્ગદર્શન

માત્ર અધિકારી નહીં, સારા માણસ બની સમાજ માટે યોગદાન આપવાનો સંદેશ : સંજય રાવલ

અમદાવાદ, ગુજરાત | ૦૫ જુલાઈ ૨૦૨૬ | લિબર્ટી કરિયર એકેડમી દ્વારા શહેરના આશ્રમ રોડ સ્થિત દિનેશ હોલ ખાતે ધોરણ-12 પાસ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે GPSC-UPSC કરિયર ગાઇડન્સ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, કારકિર્દીના વિકલ્પો, સફળતાની વ્યૂહરચના તેમજ ટોપર્સના અનુભવો અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે લિબર્ટી કરિયર એકેડમીના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, દર વર્ષે અંદાજે બે હજારથી વધુ દીકરા-દીકરીઓને એક જ મંચ પર અનુભવી અધિકારીઓ અને સફળ ઉમેદવારો સાથે સીધા સંવાદની તક આપવી એ ખૂબ જ સરાહનીય પહેલ છે. તેમણે જણાવ્યું કે, આવી પહેલથી વિદ્યાર્થીઓને માત્ર UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મહત્વ જ સમજાતું નથી, પરંતુ તેને કેવી રીતે ક્રેક કરવી તે અંગે પણ યોગ્ય દિશા મળે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લિબર્ટી ગ્રૂપ છેલ્લા પાંચ દાયકાથી શિક્ષણ અને પ્રકાશન ક્ષેત્રે કાર્યરત છે અને છેલ્લા લગભગ 25 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યું છે. સમાજ માટે સારા અને જવાબદાર અધિકારીઓ તૈયાર કરવાની તેમની ભાવના સાચા અર્થમાં સમાજસેવાનું કાર્ય છે. આવા કાર્યક્રમમાં પોતાને પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો તે બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થીઓને સંબોધતા સંજય રાવલે જણાવ્યું હતું કે, આજના સમયમાં યુવાનો 30 સેકન્ડની રીલ પણ પૂરી જોતા નથી, ત્યારે તેઓ એક કલાક સુધી ધ્યાનપૂર્વક પ્રેરણાદાયક વાતો સાંભળવા તૈયાર થાય છે, તે પોતે જ આશાસ્પદ બાબત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવાનોને માત્ર શીખામણ આપવાથી નહીં, પરંતુ તેમના સ્તરે જઈ તેમના પ્રશ્નોને સમજવાથી જ સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.

તેમણે ઉમેર્યું કે, ભારત પાસે વિશ્વનું સૌથી શક્તિશાળી યુવાધન છે, પરંતુ તેની શક્તિનો યોગ્ય ઉપયોગ થવો જરૂરી છે. લિબર્ટી કરિયર એકેડમી જેવા પ્રયાસો યુવાનોને યોગ્ય દિશા અને પ્રેરણા આપીને તેમની ક્ષમતાનો સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે ઉપયોગ થાય તેવો પ્રયાસ કરી રહ્યા છે, જે અત્યંત પ્રશંસનીય છે.

આ પ્રસંગે સ્ટેટ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર નીરવ ત્રિવેદી, UPSC CSE-2025માં AIR-474 મેળવનાર કિશન કુમાર રામ, AIR-589 મેળવનાર જૈનેશ ચૌહાણ, AIR-898 મેળવનાર રાહુલ રેવર તેમજ લિબર્ટી કરિયર એકેડમીના ડિરેક્ટર જગદીશ પટેલે પણ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેડિયો મિર્ચીના RJ કૃતાર્થ દ્વારા કરવામાં આવ્યું હતું.

== સમાપ્ત ==

Related posts

Havmor launches a playful new campaign – ‘Soooo Tasty, You Wanna Havmoorrrr!’ 

Reporter1

રાજકોટમાં ભાનુ કુમાર મહેતાના 6 વૈવિધ્યસભર પુસ્તકોના લોકાર્પણ પ્રસંગે સાહિત્ય પ્રેમીઓનો મેળાવડો જામ્યો

Master Admin

Hannah Joseph Hospital Limited IPO Opens on January 22, 2026

Reporter1

Leave a Comment

Translate »