Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

રામ મંદિર દાન ચોરી મામલે ૮ આરોપીઓના ઘરે પોલીસના દરોડા

રામ મંદિર દાન ચોરી મામલે મોટી કાર્યવાહી

પોલીસે ૮૦ લાખથી વધુ રોકડ રિકવર કરી છે : ચંપત રાયના નજીકના સાથી સહિત આરોપીઓની પૂછપરછ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા, તા.૨૮ જૂન ૨૦૨૬ — અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ચઢાવાની ચોરીના મામલામાં પોલીસની તપાસ અત્યંત વેગીલી બની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર ગઠિત SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ના પ્રારંભિક અહેવાલ બાદ પોલીસે રવિવારે વહેલી સવારે ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓના નિવાસસ્થાને એકસાથે દરોડા પાડ્યા છે. આ અગાઉ પોલીસ આરોપીઓ પાસેથી ૮૦ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ રિકવર કરી ચૂકી છે, અને હવે તેમની સામે મજબૂત કેસ બનાવવા માટે વધુ પુરાવા અને ગુપ્ત મિલકતોની તપાસ થઈ રહી છે.

રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક સુમિત શ્રીવાસ્તવના નેતૃત્વમાં પોલીસ ટીમોએ રામધામ સ્થિત સ્વર્ગદ્વાર મહોલ્લામાં રહેતા અને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના ખૂબ નજીકના ગણાતા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, કૌશલપુરીના અનુકલ્પ મિશ્રા અને રુદૌલીના લવકુશ મિશ્રા સહિત તમામ આરોપીઓના આવાસ પર દરોડા પાડ્યા હતા.

ઘણા સ્થળોએ ઘરના દરવાજા ખોલાવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓના પરિવારજનો અને પડોશીઓની પણ પૂછપરછ કરીને મહત્વની માહિતી એકત્ર કરી છે. પોલીસ હવે તપાસ કરી રહ્યું છે કે મંદિરમાં નોટો ગણવાની કામગીરીમાં જોડાયા પહેલા આ લોકોની આર્થિક સ્થિતિ કેવી હતી અને હાલ તેમની પાસે કેટલી સંપત્તિ છે.

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા નોટોની ગણતરી માટે ખાસ રાખવામાં આવેલા આઠ કર્મચારીઓ- રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ, કરુણેશ પાંડે, મનિષ યાદવ, અવિનાશ શુક્લા અને રમાશંકર મિશ્રા સામે નામજોગ હ્લૈંઇ નોંધાવવામાં આવી હતી. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસ આ તમામની ધરપકડ કરી લીધી હતી.

બીજી તરફ, આ મામલે એફઆઈઆર નોંધવામાં થયેલા વિલંબને લઈને વિપક્ષી દળો અને સ્થાનિક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે એસઆઈટીની રચનાના એક સપ્તાહ બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેના કારણે આરોપીઓને ચોરીના નાણાં અને દસ્તાવેજો સગેવગે કરવાનો પૂરતો સમય મળી ગયો હશે. આરોપીઓને રિમાન્ડ પર લીધા વિના આટલા દિવસો પછી કરાયેલા દરોડામાં કંઈ ખાસ હાથ લાગશે કે કેમ તે અંગે પણ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, અયોધ્યા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદાકીય કડક પગલાં લેવા માટે સાક્ષીઓ વેરિફાય કરવાનું કામ ચાલુ રહેશે.

Related posts

કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો

Master Admin

૩ માર્ચે ભારતમાં દેખાશે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદભૂત નજારો

Master Admin

રાહુલ ગાંધીના PM કોમ્પ્રોમાઇઝ્‌ડ નિવેદન ઉપર સંસદમાં હોબાળો

Master Admin

Leave a Comment

Translate »