નવા ચહેરાઓને સ્થાન મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનાત્મક ફેરફારો પર મંથન ચાલી રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૬ જૂન ૨૦૨૬ — કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આગામી થોડા દિવસોમાં મોટા પાયે ફેરબદલ થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનાત્મક ફેરફારો બંને પર અત્યારે ગંભીર મંથન ચાલી રહ્યું છે. આ કવાયત હેઠળ મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, જ્યારે કેટલાક વર્તમાન મંત્રીઓની જવાબદારીઓમાં મોટો બદલાવ આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના રાજકીય પ્રવાહો બાદ દ્ગડ્ઢછ ગઠબંધન વધુ મજબૂત બન્યું છે. આવી સ્થિતિમાં, સહયોગી પક્ષો અને તાજેતરમાં જ દ્ગડ્ઢછ માં સામેલ થયેલા નેતાઓને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રમમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના કેટલાક અગ્રણી નેતાઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે.
શિવસેના (શિંદે જૂથ) ના સાંસદ શ્રીકાંત શિંદેને કેબિનેટ રેન્ક સાથે કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) થી અલગ થયેલા સાંસદો કાકોલી ઘોષ, સુદીપ બંદોપાધ્યાય અને શતાબ્દી રોયના નામો પર પણ વિચારણા ચાલી રહી છે.
આમાંથી કોઈ એક નેતાને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) માંથી અલગ થયેલા સાંસદ સંજય દીના પાટિલનું નામ પણ સંભવિત મંત્રીઓની યાદીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ફેરબદલમાં માત્ર નવા મંત્રીઓની નિમણૂક જ નહીં, પરંતુ કેટલાક વર્તમાન મંત્રીઓની જવાબદારીઓ પણ બદલાશે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી ભાજપની કમાન સંભાળી ચૂકેલા પંકજ ચૌધરી અને હર્ષ મલ્હોત્રાને સંગઠનમાં વધુ સક્રિય ભૂમિકા આપવા માટે કેન્દ્ર સરકારના મંત્રીપદેથી મુક્ત કરવામાં આવી શકે છે. ભાજપ સરકારમાં સામેલ કેટલાક વરિષ્ઠ નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપીને, સરકારમાં પ્રમાણમાં યુવા નેતાઓને તક આપવાની રણનીતિ પર કામ કરી રહી છે, જેથી નેતૃત્વની નવી પેઢી તૈયાર કરી શકાય.
સરકારની સાથે સાથે ભાજપના સંગઠનાત્મક માળખામાં પણ મોટા ફેરફારો થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટી રાષ્ટ્રીય સ્તરે ઓછામાં ઓછી બે મહિલા ઉપાધ્યક્ષોની નિમણૂક કરી શકે છે. આ સિવાય ત્રિપુરા અને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નેતાઓને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવા મહત્વના પદો આપવા પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.

