હડાદ તાલુકાના ધાગડીયા ગામે
માતા રિસાઈને ગયેલ હોય તેનું મન દુઃખ રાખી પુત્રએ પિતા ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાલનપુર , તા.૨૯ ઓગસ્ટ ૨૦૨૬ — હડાદ તાલુકાના ધાગડીયા ગામે માતા રિસાઈને પિયર ગઈ હોવાની વાતનું મનદુઃખ રાખી પુત્રએ વૃદ્ધ પિતાને પેટ તેમજ હાથના ભાગે છરીના જીવલેણ ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતકના ભાઈએ હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી. ધાગડીયા ગામે રહેતા વૃદ્ધ દેવાભાઈ મેતાભાઈને તેમની પત્ની સાથે અણબનાવ બનતાં તેમની પત્ની રાણકીબેન જૂન મહિનાથી તેમના પિયર જતાં રહ્યાં હતા. આ બાબતનું મનદુઃખ રાખી તેમનો પુત્ર હોમિરાભાઈ અવારનવાર તેના વૃદ્ધ પિતા સાથે ઝઘડો કરી માર મારતો હતો. આ બાબતે પિતા દેવાભાઈએ અગાઉ પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ ૨૭ ઓગસ્ટના રોજ પણ પુત્ર હોમિરાભાઈ તેના પિતા સાથે ઝઘડો કરી હાથના ભાગે તેમજ પેટના ભાગે શરીરના ત્રણથી ચાર જીવલેણ ઘા મારતા આજુબાજુના લોકો આવી જતા પુત્ર હોમીરાભાઈ ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે વૃદ્ધના ભાઈ તેમજ અન્ય લોકોએ વૃદ્ધને સારવાર અર્થે અંબાજી ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે પાલનપુર લઈ જતા રસ્તામાં જ વૃદ્ધનું મોત થવા પામ્યું હતું. આ હિચકારી ઘટનાને લઇ મૃતક વૃદ્ધના નાનાભાઈ નેતાભાઈ મેતાભાઈએ હડાદ પોલીસ મથકે મૃતકના પુત્ર હોમીરાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

