Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઇન્ડિગોએ ૨૩૦૦ રૂપિયા સુધી વધાર્યા ફ્લાઈટના ભાડા

મુસાફરોએ ચુકવવો પડશે ફ્યુઅલ સરચાર્જ…

ઈન્ડિગોએ ભારતમાં ચાલતી બધી સ્થાનિક ફ્લાઇટ્‌સ માટે રૂપિયા ૪૨૫ નો વધારાનો ઇંધણ ચાર્જ નક્કી કર્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૪ માર્ચ ૨૦૨૬ — અમેરિકા ઈરાનના યુદ્ધ વચ્ચે ક્રુડ ઓઈલ સપ્લાય ચેઈન ખોરંભાઈ છે. ત્યારે વિશ્વમાં જેટ ફયુઅલના ભાવોમાં પણ વધારો થયો છે. જેના પગલે ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ તમામ ટિકિટોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોએ ફ્લાઇટ ટિકિટના ભાવમાં રૂપિયા ૪૨૫ થી રૂપિયા ૨,૩૦૦ સુધીનો વધારો કર્યો છે. જે મુસાફરો પાસેથી ઇંધણ સરચાર્જ તરીકે વસૂલવામાં આવશે. ઇન્ડિગોએ માહિતી આપી હતી કે ફ્લાઇટ ટિકિટના નવા ભાવ ૧૪ માર્ચ, ૨૦૨૬ થી અમલમાં આવશે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જેટ ફ્યુઅલ મોનિટર અનુસાર, આ ક્ષેત્રમાં ઇંધણના ભાવમાં ૮૫ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એરલાઇનના સંચાલન ખર્ચનો મોટો ભાગ છે. આ અચાનક ભાવવધારાથી ઇન્ડિગો સહિત તમામ એરલાઇન્સના ખર્ચ અને નેટવર્ક પર નોંધપાત્ર અસર પડશે. કંપનીએ જણાવ્યું હતું કે, “જ્યારે ઇંધણના ભાવમાં આ મોટા વધારાનો સંપૂર્ણ પ્રભાવ ઘટાડવા માટે ભાડામાં ફેરફાર જરૂરી છે. ઇન્ડિગોએ ગ્રાહકો પરના બોજને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ ચાર્જ ના રૂપમાં પ્રમાણમાં ઓછો વધારો લાગુ કર્યો છે. ૧૪ માર્ચ ૨૦૨૬ ના રોજથી ઇન્ડિગો ફ્લાઇટ્‌સ માટે તમામ નવી બુકિંગ પર ભાડાની સાથે ઇંધણ ચાર્જ વસૂલવામાં આવશે.ઈન્ડિગોએ ભારતમાં ચાલતી બધી સ્થાનિક ફ્લાઇટ્‌સ માટે રૂપિયા ૪૨૫ નો વધારાનો ઇંધણ ચાર્જ નક્કી કર્યો છે. ભારતીય ઉપખંડના દેશો, જેમ કે બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવ્સ માટે પણ રૂપિયા ૪૨૫ નો ઇંધણ ચાર્જ વસૂલવામાં આવશે. ઈન્ડિગોએ મધ્ય પૂર્વની ફ્લાઇટ્‌સ માટે રૂપિયા ૯૦૦; દક્ષિણપૂર્વ એશિયા અને ચીનની ફ્લાઇટ્‌સ માટે રૂપિયા ૧,૮૦૦, આળિકન અને પશ્ચિમ એશિયાઈ દેશોની ફ્લાઇટ્‌સ માટે રૂપિયા ૧,૮૦૦ અને યુરોપિયન દેશોની ફ્લાઇટ્‌સ માટે રૂપિયા ૨,૩૦૦ ઇંધણ ચાર્જ નક્કી કર્યો છે.

Related posts

મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ઃ મહાયુતિનો ભવ્ય વિજય અને ઠાકરે-પવારના ગઢમાં ઐતિહાસિક પરિવર્તન

Master Admin

કાશ્મીર જતાં પર્યટકોમાં ૪૦ ટકાનો જંગી ઘટાડો

Master Admin

બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો

Master Admin

Leave a Comment

Translate »