સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
શ્રાવણ સુદ પૂનમ એટલે બળેવ. કારતક સુદ બીજ એટલે ભાઈબીજ. બંને તહેવારોમાં કોમન શું? બહેન ભાઈની લાંબી ઉંમર માંગે, ભાઈ બહેનની રક્ષાનું વચન આપે. ફોટા પડે, મિઠાઈ ખવાય, સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકાય. બધું પવિત્ર લાગે!
કિન્તુ, સિક્કાની બીજી બાજુ ઉજળી નથી, કાળી છે!
સવાલ સીધો છેઃ જ્યારે વડીલોપાર્જિત, સહિયારી, સંયુક્ત પરિવારની મિલ્કતની માપણી,વહેંચણી અને વિભાજન આવે છે, ત્યારે આ રક્ષાનું વચન ક્યાં જાય છે?!
માફ કરજો! અત્રે કડવું સત્ય એ છે કે, :
આજે સુરત, નવસારી, ભરૂચના અનેક કુટુંબોમાં દીકરો લાખો / કરોડોની મિલ્કતનો માલિક બની જાય છે અને સગી બહેનને ૫૦ રૂપિયાની રાખડી અને દિવાળી પર ૧૦૦૦ રૂપિયાનું કવર આપીને હિસાબ ચૂકતે ગણી લેવાય છે. બહેન જો હક માંગે તો એને કહેવાય છે – “તું તો પારકી થઈ ગઈ, હવે તારે શું કામ છે?!તું ભાઈ-બહેનના સંબંધમાં તિરાડ પાડે છે.”!
અરે રે ભાઈ, સંબંધમાં તિરાડ હક માંગવાથી નથી પડતી, પરંતુ હક ખાઈ જવાથી પડે છે!
હિન્દુ વારસા ધારા – ૨૦૦૫ના સુધારા પછી સગી દીકરીનો પણ દીકરા જેટલો જ સમાન હક છે! સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કહે છે. છતાં ભાઈઓ દસ્તાવેજ કરતી વખતે બહેનોની સહી તો લઈ લે છે પણ હક નથી આપતા!બહેનને ઇમોશનલ બ્લેકમેલ કરાય છે – “તું
સહી કરી દે, નહીંતર માઁ નું મરણ બગડશે.”!
ખેર, બીજી ઔર એક ઉજળી બાજુ પણ છેઃ
સલામ છે એ ભાઈઓને જેઓ આજે પણ મોટા મનના છે. જેઓ બહેનને સંયુક્ત મિલ્કતમાંથી પૂરો લાગ-ભાગ આપે છે. જેઓ મામેરું ભરે છે, મોસાળું કરે છે, ભાણેજના લગ્નમાં પિતાની જેમ ઊભા રહે છે. એ ભાઈઓએ રક્ષાબંધનને ફોર્માલિટીમાંથી ફરજમાં બદલ્યું છે. એ જ સાચા – ખરા અર્થમાં રક્ષા કરે છે!
એ વાસ્તે પણ શીખવા જેવું છે મુસ્લિમ બિરાદરો કનેથીઃ
અહીં કોઈ ધર્મની તુલના નથી, પણ હકીકત છે. નેક મુસ્લિમ ભાઈઓ શરીયત મુજબ પોતાની બહેનને વારસામાંથી બે આની હિસ્સો એટલે કે દીકરા કરતા અડધો હિસ્સો પ્રેમથી, સન્માનથી અને ફરજ સમજીને આપી દે છે!એને ભેટ નથી ગણતા!એને હક ગણે છે. એમાં કોઈ કોર્ટ કચેરી નથી થતી! આ ઈમાનદારી છે! અલબત, હિન્દુ ભાઈ જો બહેનને હક ન આપે અને મુસ્લિમ ભાઈ હક આપે, તો વધુ ધાર્મિક કોણ?!
છેવટે, બળેવ અને ભાઈબીજ ત્યારે જ પવિત્ર કહેવાશે જ્યારે ભાઈ તિલક કરાવીને રાખડી બંધાવે એટલું જ નહીં, પણ પ્રોપર્ટીના કાગળમાં બહેનનું નામ પણ લખાવે. ૫૦૦ રૂપિયાની રાખડી સાથે ૫૦ લાખની મિલ્કતમાંથી હક પણ આપે!
બલ્કે, બાકી બધી ફોર્માલિટી છે. મીઠાઈ ખાવાની અને ફોટા પાડવાની મેન્ડેટરી ફોર્માલિટી! અંતે, કુદરતી ન્યાય અને સમન્યાયનાં સિદ્ધાંતો અન્વયે અણહક્કનું પડાવી પચાવી લેવાથી સુખી નહીં થવાય! કેમ કે, ઈશ્વરીય અદાલત સૌથી મોટી છે ત્યાં કોઈ અપીલ કે, ક્ષમ્ય નથી એ નક્કી જાણજો ! ગહન અભ્યાસ અને સિદ્ધહસ્ત અનુભવ!(સંત

