તંત્રીની કલમે….
ભારતીય લોકશાહીના સર્વોચ્ચ મંદિર સમાન સંસદની ગરિમા આજે એક એવા વળાંક પર ઉભી છે જ્યાં ગંભીર ચર્ચાઓને બદલે પાયાવિહોણા વિવાદો અને અંગત આક્ષેપોનું વર્ચસ્વ વધતું જાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના બજેટ સત્રની શરૂઆત જે ઉમંગ અને દેશના આર્થિક ભવિષ્યને સુધારવાની આશા સાથે થઈ હતી, તે અત્યારે રાજકીય ગજગ્રાહના ધુમાડામાં ખોવાઈ ગઈ હોય તેવું પ્રતીત થાય છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધીમાં સંસદનો ૧૯ કલાકથી વધુનો કિંમતી સમય હોબાળાને કારણે વેડફાઈ ચૂક્યો છે. જનતાના પરસેવાની કમાણીમાંથી ચાલતી આ સંસ્થા જ્યારે કાર્યરત હોય છે, ત્યારે તેના દરેક મિનિટનો ખર્ચ લાખોમાં થતો હોય છે. આ સંજોગોમાં જ્યારે ગૃહની કાર્યવાહી ઠપ્પ થાય છે, ત્યારે તે માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ કરોડો નાગરિકોના વિશ્વાસનું પણ નુકસાન છે જેઓ પોતાના પ્રતિનિધિઓ પાસે જનહિતના પ્રશ્નો ઉઠાવવાની અપેક્ષા રાખે છે.
લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે અને સરકારની નીતિઓનો વિરોધ કરવો એ તેમનો બંધારણીય અધિકાર છે. પરંતુ વર્તમાન સમયમાં વિરોધની પદ્ધતિ અને શૈલીમાં જે સ્ખલન જોવા મળ્યું છે તે ચિંતાજનક છે. ભારત અને અમેરિકા વચ્ચેની ઐતિહાસિક વેપાર સમજૂતી જેવી રાષ્ટ્રીય મહત્વની બાબતો પર જ્યારે ’ટ્રેપ ડીલ’ જેવા આક્ષેપો થાય, ત્યારે તેના પર તર્કબદ્ધ અને ડેટા આધારિત ચર્ચા થવી અનિવાર્ય છે. સંસદ એ સૂત્રોચ્ચાર કરવાનું કે પ્લેકાર્ડ પ્રદર્શિત કરવાનું મેદાન નથી, પણ તે આર્થિક સુધારાઓના ફાયદા અને ગેરફાયદા પર ગહન વિશ્લેષણ કરવાનું પ્લેટફોર્મ છે. કમનસીબે, ગંભીર સંવાદને સ્થાને માત્ર રાજકીય નિવેદનબાજી અને હોબાળાએ સ્થાન લઈ લીધું છે, જેના કારણે નીતિવિષયક નિર્ણયોમાં વિલંબ થાય છે અને દેશના વિકાસની ગતિ અવરોધાય છે.
તાજેતરમાં લોકસભામાં જોવા મળેલો નજારો તો શિષ્ટાચારની તમામ સીમાઓ ઓળંગી ગયો હોય તેવો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચેની ઉગ્ર બોલાચાલીએ ગૃહની ગરિમાને લજવી છે. વિવાદનો વિષય પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક અને ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધના જૂના રિપોટ્ર્સ પર આધારિત હતો, પરંતુ ચર્ચા એટલી નિમ્ન સ્તરે પહોંચી ગઈ કે એકબીજાને ’ગદ્દાર’ અને ’દેશના દુશ્મન’ જેવા શબ્દોથી નવાજવામાં આવ્યા. જ્યારે દેશના જવાબદાર નેતાઓ ગૃહમાં આવા શબ્દોનો પ્રયોગ કરે છે, ત્યારે તે સમાજમાં પણ નકારાત્મક સંદેશ આપે છે. સંસદની અંદર થતી આવી વર્તણૂકને કારણે જ સ્પીકર ઓમ બિરલાની વારંવારની ટકોર છતાં ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવી પડી, જે દર્શાવે છે કે રાજકીય અહમ અત્યારે રાષ્ટ્રહિત કરતા ઉપર વટી ગયો છે.
ભારતીય સંસદીય ઇતિહાસમાં અગાઉ પણ તીખા મતભેદો રહ્યા છે, પરંતુ તેમાં પરસ્પર સન્માન અને તથ્યો પર આધારિત દલીલોનું સ્થાન હંમેશા રહેતું. આજના સંસદસભ્યોએ સમજવાની જરૂર છે કે તેમને ગૃહમાં મોકલવા પાછળ જનતાનો ઉદ્દેશ્ય તેમની સુવિધા, આર્થિક સુરક્ષા અને કાયદાકીય સુધારાઓ પર કામ કરવાનો છે. જો બજેટ સત્ર જેવા મહત્વના સમયમાં પણ માત્ર ભૂતકાળના વિવાદો કે વ્યક્તિગત આક્ષેપોમાં જ સમય વીતશે, તો આર્થિક ક્રાંતિ અને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું સપનું માત્ર કાગળ પર રહી જશે. અત્યારે જરૂર છે કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને આત્મમંથન કરે અને સંસદને ફરીથી અર્થપૂર્ણ સંવાદનું કેન્દ્ર બનાવે. લોકશાહીમાં વિવાદ હોઈ શકે છે, પણ તે વિવાદ જ્યારે વિનાશક બને ત્યારે લોકશાહીના પાયા નબળા પડે છે. નિર્મલ મેટ્રોના વાચકો અને દેશના નાગરિકો હવે ઈચ્છે છે કે સંસદમાં હોબાળો નહીં, પણ હિતકારી નિર્ણયોની ગુંજ સંભળાય.
નરેન્દ્ર જોષી

