ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ
દેશમાં હવે પેટ્રોલ-ડીઝલના વાહનોનો યુગી ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૮ એપ્રિલ ૨૦૨૬ — દેશમાં પેટ્રોલ-ડીઝલના બદલે ઈલેક્ટ્રીક વાહનોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં દેશના રસ્તાઓ પર ટુ-વ્હિલરથી લઈને કાર-બસ સહિતના ઈલેક્ટ્રીક વાહનો દોડી રહ્યા છે. ત્યારે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલની ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. એટલે કે દેશમાં હવે પેટ્રોલ-ડીઝલના વાહનોનો યુગી ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ નવી દિલ્હીમાં ‘બસવર્લ્ડ કૉન્કલેવ-૨૦૨૬’માં બોલતા વાહન ઉદ્યોગને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આવનારા સમયમાં ટ્રેડિશનલ ફ્યૂલ (પેટ્રોલ-ડીઝલ)થી દોડતી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. વર્તમાન સમય ઝડપથી ક્લીન અને સસ્તા ફ્યૂલ તરફ વધી રહ્યો છે.’ તેમણે વાહન બનાવતી કંપનીઓને પેટ્રોલ-ડીઝલના બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો તરફ શિફ્ટ થવા વિનંતી કરી છે.
ગડકરીએ સ્પષ્ટ કહ્યું કે, ‘પેટ્રોલ અને ડિઝલ મોંઘું હોવાના કારણે તેનાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે અને દેશનું પણ આર્થિક નુકસાન વધે છે. ભારત દર વર્ષે મોટાપ્રમાણમાં ફૉસિલ ફ્યૂલની આયાત કરતું હોવાથી દેશની અર્થવ્યવસ્થા પર બોજ વધે છે. તેથી ફૉસિલ ફ્યૂલ અનેક રીતે નુકસાનકારક છે.’
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, કે, ‘ટ્રાન્સપોર્ટ સેક્ટરે હવે સસ્તું, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી રસ્તો અપનાવવો પડશે. દેશમાં હાઈવે અને શહેરમાં મોબિલિટી સેવા ઝડપથી વધી રહી છે, તેથી મજબૂત અને શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉભી કરવી જરૂરી છે. વર્તમાન સમયમાં વાહનોમાં ઉપયોગ થતા હાઈડ્રોજન પર સંશોધન કરવું પણ ખૂબ જરૂરી છે, જેમાં અમે કામ પણ શરૂ કરી દીધું છે.
દેશમાં અનેક રસ્તાઓ પર હાઈડ્રોજનથી ચાલતા ટ્રક અને બસોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.’

