Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ

ઘરમાં સૂતેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયાં

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના બે મકાનોના બારી-બારણાના કાચ પણ ફૂટી ગયા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૩૧ માર્ચ ૨૦૨૬ — અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ચામુંડાનગર વસાહતમાં મંગળવારે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. એક મકાનમાં એલપીજી ગેસ સિલિન્ડર ફાટતા ભયાનક આગ લાગી હતી, જેમાં ઘરમાં સૂતેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના બે મકાનોના બારી-બારણાના કાચ પણ ફૂટી ગયા હતા.મળતી માહિતી અનુસાર, વહેલી સવારે અંદાજે ૫ઃ૩૦ વાગ્યે નારણપુરાના ચામુંડાનગરમાં ગેસ લીકેજ અંગેનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મકાનમાં ભરાયેલા ગેસને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેસ લીકેજને કારણે આખા ઘરમાં ગેસ ફેલાયેલો હતો અને કોઈ કારણોસર તણખલો કે આગ મળતા આ મોટો ધડાકો થયો હતો.બ્લાસ્ટ સમયે મકાનમાં હાજર ૩૫ વર્ષીય રાજુભાઈ, ૪૫ વર્ષીય હીરાભાઈ, ૪૬ વર્ષીય મણિલાલ, ૫૦ વર્ષીય સોહનભાઈ અને અન્ય એક વ્યક્તિ આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.સિલિન્ડર બ્લાસ્ટને કારણે મકાનનો સામાન અને ગાદલા બળીને ખાખ થઈ ગયા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના છત અને દીવાલોના પોપડા ઉખડી ગયા હતા. આસપાસ રહેતા લોકોમાં પણ ફાળ પડી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

Related posts

રિક્ષાની પાછળ પોલીસે લગાવેલા સ્ટીકર કાઢીને લૂંટારુઓ ગુનાને અંજામ આપે છે

Master Admin

ઘીકાંટા વિસ્તારમાંથી ૧૨ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

Master Admin

શ્રી શક્તિ સેવા કેન્દ્ર 1 મેથી બાળ ભિક્ષાવૃત્તિની સામે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે

Master Admin

Leave a Comment

Translate »