મમતાની પાર્ટી પડી ભાંગશે?
કલ્યાણ બેનરજી પર ભૂતકાળમાં મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂક કરવાના આરોપો લાગતા રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૧૫ મે ૨૦૨૬ –– પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષા મુજબનું પરિણામ ન મળ્યા બાદ હવે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષના વડા મમતા બેનરજી દ્વારા લોકસભામાં ચીફ વ્હિપ તરીકે કલ્યાણ બેનરજીની નિમણૂક કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. મમતા બેનરજીએ કાકોલી ઘોષ દસ્તીદારના સ્થાને કલ્યાણ બેનરજીને આ જવાબદારી સોંપી છે, જેના કારણે પાર્ટીના અનેક સાંસદોમાં નારાજગી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કલ્યાણ બેનરજીની નિમણૂક સામે ખાસ કરીને મહિલા સાંસદોએ બળવાખોર તેવર અપનાવ્યા છે. કલ્યાણ બેનરજી પર ભૂતકાળમાં મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂક કરવાના આરોપો લાગતા રહ્યા છે. લોકસભામાં TMCના કુલ ૨૮ સાંસદો છે, જેમાંથી ૧૧ મહિલા સાંસદો છે. આ નિમણૂકને કારણે હવે પાર્ટીમાં ભંગાણ પડવાનો ડર પણ સતાવી રહ્યો છે.
કલ્યાણ બેનરજી અગાઉ પણ મુખ્ય સચેતક પદે હતા, પરંતુ ગયા વર્ષે સાંસદ મહુઆ મોઇત્રા સાથેના જાહેર વિવાદ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. કલ્યાણ બેનરજીએ મહુઆ મોઇત્રાના અંગત જીવન વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેના જવાબમાં મહુઆએ આકરા પ્રહારો કર્યા હતા. મહુઆએ તે સમયે કહ્યું હતું કે, ’તમે ભૂંડ સાથે કુસ્તી ન લડો, કારણ કે તેમાં ભૂંડને મજા આવે છે અને તમે ગંદા થાઓ છો.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સંસદમાં એવા પુરુષો છે જે સ્ત્રી-વિરોધી અને માનસિક રીતે વિકૃત છે.
મમતા બેનરજીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને મળેલી બેઠકમાં કલ્યાણ બેનરજીની ફરી નિમણૂક કરવામાં આવી હતી. આ નિર્ણયથી નારાજ સાંસદો ટૂંક સમયમાં પોતાની ચિંતા વ્યક્ત કરી શકે છે. ચૂંટણી બાદ એકતરફ પાર્ટી સંગઠન મજબૂત કરવાની કોશિશ કરી રહી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારનો આંતરિક વિખવાદ ્સ્ઝ્ર માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

