સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
દુનિયામાં કરોડો માણસો છે, પણ સ્વભાવથી ચાર પ્રકારમાં વહેંચાયેલા છે.
૧. આસ્તિકઃ જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે. તે માને છે કે મારા ઉપર કોઈ શક્તિ છે. સુખ આવે તો પ્રસાદ માને, દુઃખ આવે તો પરીક્ષા માને. તે કોઈનું ખરાબ નથી કરતો કારણ કે તેને ડર છે કે ઉપરવાળો જુએ છે. તેની નબળાઈ એ છે કે ઘણીવાર તે મહેનત છોડીને બધું નસીબ પર છોડી દે છે.
૨. નાસ્તિક (રેશનલ)ઃ જે તર્કમાં માને છે. જે દેખાય તે જ સાચું. ઈશ્વર, આત્મા એ બધું કલ્પના છે એમ તે માને છે. આવા માણસો વિજ્ઞાનમાં માને છે, બુદ્ધિશાળી હોય છે. પણ જ્યારે જીવનમાં એવો વળાંક આવે જ્યાં તર્ક કામ ન કરે, ત્યાં તે તૂટી જાય છે કારણ કે તેની પાસે શ્રદ્ધાનો ટેકો નથી.
૩. વાસ્તવિક – ભૌતિક સુખમાં માનનારોઃ આજનો સૌથી મોટો અને સૌથી વ્યવહારુ વર્ગ આ જ છે. આ માણસને તમે સાચો સંસારી કહી શકો. તે પૂજા પણ કરે છે અને પૈસાને પણ મહત્વ આપે છે. તે કહે છે, ધર્મ સારો છે, પણ આ જીવનમાં સુખ પણ જોઈએ. સારું ઘર, સારી ગાડી, બાળકો માટે સારું શિક્ષણ, સમાજમાં માન-મરતબો – આ બધું પણ જરૂરી છે.
તે નાસ્તિકની જેમ ઈશ્વરનો વિરોધ નથી કરતો, પણ આસ્તિકની જેમ બધું ભગવાન પર પણ નથી છોડતો. તે કહે છે, ભગવાને આ સુંદર સંસાર આપ્યો છે તો તેને ભોગવો, પણ નીતિથી ભોગવો. તે લક્ષ્મીને પૂજે છે કારણ કે તે જાણે છે કે લક્ષ્મી વગર આજના જમાનામાં એક ડગલું પણ ચાલી શકાતું નથી. તે સવારે દીવો કરીને પછી દુકાને જઈને આખો દિવસ મહેનત કરે છે. તે દાન પણ કરે છે અને વીમો પણ લે છે. આવા માણસો ન દુઃખી છે, ન સુખી – તે વાસ્તવિક છે. તેમને ખબર છે કે પેટ ભરેલું હોય તો જ ભજન થાય.
૪. દંભી અને સગવડિયાઃ સૌથી ખતરનાક પ્રકાર. તે મંદિરમાં સૌથી આગળ હોય, મોટું તિલક કરે, પણ મનમાં કપટ રાખે. સગવડ હોય ત્યારે આસ્તિક બની જાય, સગવડ ન હોય ત્યારે નાસ્તિક. આજે આ પક્ષમાં, કાલે પેલા પક્ષમાં. તેને ધર્મ સાથે નહીં, પોતાના સ્વાર્થ સાથે મતલબ છે. આવા માણસો પરિવારને પણ તોડે અને સમાજને પણ.

