Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

દેશના હિત અને વ્યાપારી ધોરણોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ જ રહેશે

સરકારે કર્યો મોટો ખુલાસો

પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ક્રૂડ ઓઇલની ખરીદી માત્ર દેશના વ્યાપારી હિતોના આધારે જ થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૮ મે ૨૦૨૬ — વિશ્વભરમાં, ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકાના પ્રતિબંધો વચ્ચે એક મોટો સવાલ એ હતો કે શું ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશે? આ સવાલનો જવાબ હવે ભારત સરકારે આપી દીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશના હિત અને વ્યાપારી ધોરણોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ જ રહેશે. આ સાથે જ સરકારે દેશમાં તેલના પૂરતા ભંડાર હોવાની ખાતરી પણ આપી છે, જેથી હાલમાં પેટ્રોલ-ડીઝલની અછતની કોઈ ચિંતા નથી. તમને જણાવી દઈએ કે, અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) પાસેના વેપાર પર ભારે અસર પડી છે. આ ઉપરાંત અમેરિકાએ અમુક દેશો પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી પર કડક પ્રતિબંધો પણ લગાવ્યા છે.

આ સ્થિતિમાં ભારત હવે પોતાની તેલની જરૂરિયાતો ક્યાંથી પૂરી કરશે તેની ચર્ચા તેજ બની હતી. જોકે, તાજેતરમાં પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલી એક પ્રેસ બ્રીફિંગમાં મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. અમેરિકાના પ્રતિબંધો વચ્ચે રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમે રશિયા પાસેથી પહેલાં પણ તેલ ખરીદતા હતા, વચ્ચે પણ ખરીદ્યું છે અને હાલમાં પણ ખરીદી રહ્યા છીએ.” સુજાતા શર્માએ વધુમાં સમજાવ્યું કે ક્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદવું તેનો નિર્ણય સંપૂર્ણપણે આપણી વ્યાપારી જરૂરિયાતો અને સપ્લાયની સરળતા પર આધાર રાખે છે. તેમણે કહ્યું કે, “તેલની ખરીદી કરતી વખતે અમે સંપૂર્ણપણે એક વ્યાપારી સમજનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે ધ્યાનમાં રાખવી જ જોઈએ.” રાહતની વાત એ છે કે તેમણે લોકોને ખાતરી આપી છે કે હાલમાં દેશમાં તેલનો વિપુલ ભંડાર ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટની સીધી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. મધ્ય પૂર્વના તણાવને લીધે તાજેતરમાં જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારાએ મોંઘવારી વધારી છે અને સામાન્ય માણસના ખિસ્સા પર તેની ગંભીર અસર પડી છે. ભવિષ્યમાં પણ આંતરરાષ્ટ્રીય સ્થિતિને જોતા સરકારે ઈશારો કર્યો છે કે આવનારો સમય થોડો મુશ્કેલ હોઈ શકે છે. તેથી, બને ત્યાં સુધી લોકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવાની સલાહ આપવામાં આવી છે.

Related posts

મોદી કેબિનેટના ૩ મોટા નિર્ણયો લેવામાં આવ્યા,૧૪ ખરીફ પાકોની MSPમાં વધારો

Master Admin

રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

Master Admin

ચોંકાવનારો સરવે: ૪૫% ભારતીયો ઈચ્છે છે કે મોદી સરકાર અમેરિકા પર વળતા ટેરિફ ઝીંકે

Master Admin

Leave a Comment

Translate »