કેન્યામાં ઉગ્ર પ્રદર્શનો વચ્ચે ૪ લોકોના મોત
સરકાર દ્વારા તાજેતરમાં ડીઝલના ભાવમાં ૨૩.૫ ટકાનો નવો વધારો જાહેર કરાતા જ પરિવહન કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૯ મે ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આડઅસર હવે આફ્રિકા ખંડ સુધી પહોંચી ગઈ છે. આ વૈશ્વિક યુદ્ધના કારણે પેદા થયેલા તેલ સંકટે આફ્રિકાના દેશ કેન્યાને ભારે આંચકો આપ્યો છે. કેન્યામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા અસાધારણ વધારાને કારણે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રાજધાની નૈરોબી સહિત દેશના અનેક મોટા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
ખાડી દેશોમાંથી તેલની આયાત પર નિર્ભર કેન્યામાં ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. ઈરાન દ્વારા વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ ગણાતા ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝ જળડમરુમધ્ય)ને વ્યવહારિક રીતે બંધ કરી દેવાતા તેલના સપ્લાયને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે દુનિયાનો લગભગ પાંચમો ભાગ તેલ આ જ રસ્તેથી પસાર થાય છે. યુદ્ધની શરૂઆત બાદથી કેન્યામાં પેટ્રોલની કિંમતોમાં ૨૦ ટકા અને ડીઝલની કિંમતોમાં રેકોર્ડબ્રેક ૪૬ ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે.
સરકાર દ્વારા તાજેતરમાં ડીઝલના ભાવમાં ૨૩.૫ ટકાનો નવો વધારો જાહેર કરાતા જ પરિવહન કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. સોમવારે સવારે રાજધાની નૈરોબીના બહારના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવીને ટાયરો સળગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ રસ્તા પરથી પસાર થતી કાર અને સ્થાનિક “બોડા બોડા” મોટરસાયકલોને બળજબરીપૂર્વક અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આખો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી.
કેન્યાના ગૃહ પ્રધાન કિપચુમ્બા મુરકોમેને પત્રકારોને જણાવ્યું હતું કે, “આજની હિંસામાં આપણે ચાર નાગરિકો ગુમાવ્યા છે તે અત્યંત દુઃખદ છે. આ સિવાય ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.” તેમણે માહિતી આપી કે પોલીસે અત્યાર સુધીમાં ૩૪૮ તોફાનીઓની ધરપકડ કરી છે. બીજી તરફ, માનવાધિકાર સંગઠન “વોકલ આફ્રિકા” એ પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા ઘાતક બળના ઉપયોગની સખત નિંદા કરી છે. હિંસાના કારણે નૈરોબીના બિઝનેસ વિસ્તારો સુમસામ રહ્યા હતા, શાળાઓ બંધ રાખવામાં આવી હતી અને અનેક કાર્યક્રમો રદ કરવા પડ્યા છે.
જો કે કેન્યા પૂર્વ આફ્રિકાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, પરંતુ તેની ૫ કરોડની વસ્તીમાંથી આશરે ત્રીજા ભાગના લોકો હજુ પણ ગરીબીમાં જીવે છે. આવા સમયે મોંઘવારી અને ઇંધણના સંકટે દેશની સરકાર પર ભારે દબાણ ઊભું કર્યું છે.

