તંત્રીની કલમે….
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગ્રામીણ અને શહેરી પ્રજાની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તાજેતરમાં સંપન્ન થયેલી આ ચૂંટણીઓમાં રાજ્યભરમાં સરેરાશ ૫૭ ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ આંકડો લોકશાહીની દ્રષ્ટિએ સંતોષકારક ગણી શકાય, પરંતુ જ્યારે આપણે તેને ’લોકશાહીના ઉત્સવ’ તરીકે ઉજવીએ છીએ, ત્યારે ૪૩ ટકા મતદારોની ગેરહાજરી ગંભીર ચિંતનનો વિષય બની જાય છે. મતદાનના આ આંકડાઓ માત્ર વિજેતા ઉમેદવારનું ભવિષ્ય નક્કી નથી કરતા, પરંતુ તે જનતાના વર્તમાન રાજકીય પક્ષો પ્રત્યેના વિશ્વાસ અને અસંતોષની વાર્તા પણ કહે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ પ્રત્યક્ષ લોકશાહીનો પાયો છે. અહીં મતદાર તેના પ્રતિનિધિને વ્યક્તિગત રીતે ઓળખે છે અને તેની પાસે રોજબરોજની પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઈટની અપેક્ષા રાખે છે. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો, આ વખતે પણ ગ્રામીણ વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ શહેરી વિસ્તારો કરતા ચડિયાતું રહ્યું છે. આ દર્શાવે છે કે ગામડાનો માણસ હજુ પણ પોતાની પંચાયત અને સ્થાનિક શાસન પ્રત્યે વધુ જાગૃત અને લાગણીશીલ છે. જ્યારે બીજી તરફ, શહેરોમાં જોવા મળતી ’મતદાન પ્રત્યેની ઉદાસીનતા’ એ ચિંતાજનક પાસું છે. શિક્ષિત અને સુવિધાજનક ગણાતા શહેરી મતદારો રજાના દિવસે મતદાન કરવાને બદલે ઘરે આરામ કરવો કે ફરવા જવાનું પસંદ કરે છે, જે આખરે લોકશાહીના પાયાને નબળો પાડે છે.
૫૭ ટકા મતદાન પાછળના રાજકીય ગણિતની વાત કરીએ તો, આ આંકડો કોઈ એક પક્ષ માટે સ્પષ્ટ લહેરનો સંકેત આપતો નથી. સામાન્ય રીતે જ્યારે ખૂબ ઊંચું મતદાન થાય ત્યારે તેને સત્તા વિરોધી લહેર (એન્ટી-ઈન્કમ્બન્સી) માનવામાં આવે છે, અને જ્યારે મતદાન નીચું હોય ત્યારે તેને યથાસ્થિતિ જાળવી રાખવાની જનતાની ઈચ્છા તરીકે જોવામાં આવે છે. પરંતુ ૫૭ ટકા એ એક એવો મધ્યમ માર્ગ છે જ્યાં રસાકસીની પૂરેપૂરી સંભાવના છે. ભાજપ માટે તેનો મજબૂત કેડર બેઝ અને પેજ કમિટીની વ્યૂહરચના ફાયદાકારક રહી શકે છે, કારણ કે ઓછા મતદાનમાં જે પક્ષ પોતાના સમર્થકોને બૂથ સુધી ખેંચી લાવવામાં સફળ રહે છે તેની જીત નિશ્ચિત હોય છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા વિરોધ પક્ષોએ જો સંગઠનાત્મક રીતે નબળાઈ બતાવી હશે, તો આ મતદાનના આંકડા તેમને નુકસાન પહોંચાડી શકે છે.
આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ કરતા પક્ષની વિચારધારા અને મોટા નેતાઓના ચહેરાઓ વધુ હાવી રહ્યા હોય તેવું લાગ્યું. સોશિયલ મીડિયાના યુગમાં હવે ગલીની ચૂંટણી પણ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાય છે. જોકે, મતદાનના દિવસે છૂટાછવાયા ઘર્ષણ અને ઈવીએમમાં ટેકનિકલ ખામીની ફરિયાદો વચ્ચે પણ જે રીતે શાંતિપૂર્ણ મતદાન થયું તે ગુજરાતની ચૂંટણી પંચની સજ્જતા દર્શાવે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું આપણે ૫૭ ટકાથી સંતુષ્ટ થઈ જવું જોઈએ? એક વિકસિત રાજ્ય તરીકે ગુજરાતમાં મતદાનનો આંકડો ૭૦ ટકાથી ઉપર હોવો જોઈએ. યુવા મતદારો, જેઓ પ્રથમ વખત વોટ આપી રહ્યા હતા, તેમનામાં ઉત્સાહ દેખાયો ખરો, પણ મધ્યમ વયના અને વરિષ્ઠ મતદારોની નીરસતા ઉડીને આંખે વળગતી હતી.
ચૂંટણીના પરિણામો જે પણ આવે, પરંતુ આ ૫૭ ટકા મતદાન એક વાત સ્પષ્ટ કરે છે કે પ્રજા હવે ગાડરિયા પ્રવાહમાં વહેવાને બદલે તોલમોલ કરીને વોટ આપે છે. લોકોમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ અંદરખાને ઉકળી રહ્યા છે, જે કદાચ મતદાનના આંકડામાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત નથી થયા. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની સમસ્યાઓ અને પાક વીમા જેવા પ્રશ્નોએ મતદાનને પ્રભાવિત કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. જિલ્લા પંચાયતોના પરિણામો રાજ્યની આગામી વિધાનસભાની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
અંતે, મતદાન એ માત્ર હક નથી પણ પવિત્ર ફરજ છે. જ્યારે આપણે નબળા વહીવટની ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણે એ પણ જોવું જોઈએ કે શું આપણે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવા માટે બૂથ સુધી ગયા હતા? ૫૭ ટકા મતદાન એ જાગૃત નાગરિકતા માટે પૂરતું નથી. રાજકીય પક્ષોએ પણ આત્મમંથન કરવાની જરૂર છે કે કેમ તેઓ બાકીના ૪૩ ટકા લોકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા. લોકશાહી ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે છેવાડાનો માનવી પણ એમ માનશે કે મારો એક વોટ વ્યવસ્થા બદલી શકે છે. હાલ તો તમામ ઉમેદવારોના ભવિષ્ય પેટીમાં કેદ થયા છે, અને ગુજરાતની જનતાએ જે ચુકાદો આપ્યો છે તે સ્વીકાર્ય રહેશે. આ આંકડાઓ આગામી દિવસોમાં રાજકીય પક્ષો માટે નવા વ્યુહ ઘડવા માટેનું હોમવર્ક પૂરું પાડશે તે નક્કી છે.
નરેન્દ્ર જોષી

