સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
એક કડવું સત્ય છે. જે શિક્ષક આખા ગામના છોકરાઓને સુધારે છે, તેના પોતાના ઘરમાં તેનું જ બાળક ઘણીવાર વંઠી જાય છે. લોકો કહે છે દીવા તળે અંધારું. પણ કેમ?
પહેલું કારણ છે સમયનો અભાવ. શિક્ષક સવારથી સાંજ બીજાના બાળકો પાછળ મહેનત કરે છે. સ્કૂલ, ટ્યુશન, હોમવર્ક ચેક, પેપર તપાસ. ઘરે આવે ત્યારે થાકેલો હોય. તેને એમ હોય કે મારું બાળક તો સમજદાર છે, તેને કહેવાની જરૂર નથી. અને અહીં જ ભૂલ થાય છે.
બીજું કારણ છે વધુ પડતી છૂટ. બીજા છોકરાને જો મોડા આવવા પર સજા કરે, પણ પોતાનો છોકરો મોડો આવે તો હસીને જવા દે. આ છૂટ જ તેને બગાડે છે.
ત્રીજું કારણ છે અપેક્ષાનો બોજ. લોકો કહે, માસ્તરનો છોકરો છે એટલે પહેલો આવવો જોઈએ. આ બોજ બાળક સહન કરી શકતો નથી.
ચોથું કારણ છે ઘરમાં જ સ્કૂલ. શિક્ષક ઘરમાં પણ શિક્ષક બની રહે છે. બાળકને મિત્ર જોઈએ છે, પિતા જોઈએ છે, શિક્ષક નહીં.
અને છેવટે, આ બધા કારણોના સરવાળે પોતાનું બાળક, શિક્ષક પિતા અથવા માઁ નાં દબાણને કારણે યા પ્રેસર સ્પ્રિંગને પગલે વંઠી અથવા બગડી જઈ અજુગતું અને અઘટિત કૃત્ય કરી બેસે છે. પ્રેસર કૂકરની જેમ વધુ દબાવો તો સ્પ્રિંગ તૂટે જ છે. બાળક બળવો કરે છે.
ઉપાય એ જ છે, ઘરે આવ્યા પછી સ્કૂલનો ડગલો બહાર મૂકો. પહેલા પિતા બનો, પછી શિક્ષક. બાળકને સમય આપો, દબાણ નહીં!

