Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

“સન્માનના અધિકારી નહોતા, એટલે નામ નહીં લીધું, રજનીશનો સભામાં ચાબખો”!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

સમારંભ મોટો. સ્ટેજ ફૂલ ભરેલું. મેયર, કલેક્ટર, નેતા, ઉદ્યોગપતિ – બધા “માનનીય” ના બોર્ડ ગળામાં લટકાવીને બેઠા. રજનીશને ચીફ ગેસ્ટ બોલાવ્યા.

રિવાજઃ માઈક પકડો એટલે ૧૦ મિનિટ નામોલ્લેખ. “આજના કાર્યક્રમના પ્રમુખશ્રી માનનીય શ્રી… ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો… આદરણીય… પરમ આદરણીય…” શબ્દોની ઉલટી.
રજનીશે શું કર્યું?
માઈક લીધું. આંખ બંધ. ૩૦ સેકન્ડ મૌન. પછી સીધું બોલ્યા – “મિત્રો, જીવન શું છે?…”
ના કોઈનું નામ, ના “માનનીય”, ના “આદરણીય”. સીધા મુદ્દા પર.
મંચ પર બેઠેલા “મહાનુભાવો” ના પેટમાં તેલ રેડાયું. “આને ભાન નહીં? આપણું અપમાન કર્યું!”
કાર્યક્રમ પૂરો થયો. એક શ્રોતાએ પૂછ્યું – “ભગવાન, આપે મહાનુભાવોના નામ ન લીધા?”
રજનીશ સ્મિત સાથે બોલ્યા – “નામોલ્લેખ એ સન્માન છે. અને સન્માનના અધિકારી હોવા જોઈએ. અત્રે પધારેલા મહાનુભાવો સન્માનના અધિકારી નહોતા, એટલે નામ ન લીધું.”
સન્નાટો. પછી બોમ્બ ફોડ્યો – “અર્થાત, અત્રે પધારેલા મહાનુભાવો મૂર્ખ હતા. સન્માનને પાત્ર નહોતા. જે મૂર્ખ હોય એનું નામ લઈને હું મારા શબ્દો બગાડું?”

૧. રજનીશે તમાચો કેમ માર્યો?
સમારંભ પહેલા રજનીશે જોયું. સ્ટેજ પર “માનનીયો” બીડી ફૂંકતા હતા. એકબીજાની પંચાત કરતા હતા. બેનર ફાટેલું, ખુરશી ભાંગેલી, આયોજન વેરવિખેર. પણ એમને ચિંતા હતી ફક્ત ફોટાની અને “માનનીય” કહેવડાવવાની.
રજનીશનો નિયમ – “સન્માન માંગીને ન મળે, કમાઈને મળે.” ખુરશી પર બેસવાથી માણસ મોટો ન થાય. ગળામાં હાર પડવાથી ગુણી ન થાય. કામ બોલવું જોઈએ, મોઢું નહીં.

૨. ’માનનીય’ શબ્દનું દેવાળું કોણે કાઢ્યું?
આજે દરેક કોર્પોરેટર “માનનીય” છે. તલાટી “આદરણીય” છે. ૧૦ હજારની લાંચ લેનારો મંચ પરથી “પ્રામાણિકતા” ના પાઠ ભણાવે છે.
રજનીશે કહ્યું – “ગધેડાને ઘોડો કહેવાથી ગધેડો દોડવા નહીં માંડે.” ખોટા માણસને “માનનીય” કહેવાથી એ માનને લાયક ન થાય. ઉલટું, “માનનીય” શબ્દની આબરૂ જાય.

૩. આપણે રોજ શું ભૂલ કરીએ છીએ?
દરેક સમારંભમાં ૨૦ મિનિટ નામોલ્લેખમાં બગડે. જે માણસ આખું વર્ષ ગામમાં ડોકાયો નથી, એ સ્ટેજ પર “વિકાસ પુરુષ” બનીને બેસે. અને આપણે તાળી પાડીએ.
રજનીશે શીખવ્યું – ચૂપ રહો, પણ ખોટા માણસને ’સાહેબ’ ન કહો. એ બોલવાથી તમારી જીભ ખોટી થાય, તમારો આત્મા નાનો થાય.

૪. શું આ અસભ્યતા હતી?
ના. આ સૌથી મોટી સભ્યતા હતી. સભ્યતા એટલે સાચું બોલવું. અસભ્યતા એટલે મૂર્ખને “વિદ્વાન” કહેવો, ચોરને “પ્રામાણિક” કહેવો.
ડોક્ટર કેન્સરને “શરદી” કહે તો એ સભ્યતા નથી, હત્યા છે. રજનીશે મૂર્ખને મૂર્ખ કહ્યા – એ ગાળ નહોતી, ડાયગ્નોસિસ હતું, નિદાન હતું.

૫. આજના સમારંભો માટે બોધઃ
૧. સન્માન તપાસીને આપોઃ ખુરશી નહીં, કરતૂત જુઓ. પૈસા નહીં, ચારિત્ર્ય જુઓ.
૨. મૌન એ સૌથી મોટું સન્માન છેઃ જે લાયક ન હોય એના માટે બોલવું નહીં એ જ એનું સન્માન છે.
૩. મંચ નહીં, મુદ્દો મોટોઃ રજનીશ ચીફ ગેસ્ટ હતા, પણ મંચને લાત મારી. આપણે મુદ્દાને લાત મારીએ છીએ, મંચ પકડી રાખીએ છીએ.
૪. “ઉસ મે તેરે કો કિયા” યાદ રાખોઃ મહાનુભાવ નારાજ થાય તો ભલે થાય. તારે તારું સાચું બોલવાનું. લોક ચાહે કુછ ભી કહે, હાથી ચલતા રહે.

અંતિમ વાતઃ
રજનીશે મહાનુભાવોનું અપમાન નહોતું કર્યું. “સન્માન” શબ્દનું સન્માન કર્યું હતું. એમણે બતાવ્યું કે શબ્દો મફત નથી. “માનનીય” એટલે માનને લાયક. જે લાયક ન હોય એને “માનનીય” કહેવું એ સાચા માનનીય લોકોના મોઢા પર થૂંકવા બરાબર છે.
જે દિવસે આપણે પૂછતા થઈશું કે “ભાઈ, તમે કર્યું શું છે કે અમે તમને માનનીય કહીએ?”, એ દિવસે સાચા માનનીય પેદા થશે. બાકી ખાલી સ્ટેજ ભરવાથી અને ખોટા માણસને હાર પહેરાવવાથી સમારંભ નહીં, સમાજ વેરવિખેર થાય!જય સત્ય!

Related posts

ઈટ, ડ્રિન્ક એન્ડ બી મેરી – હુરતી લાલા એ લહેરી લાલા!

Master Admin

શક્તિ સંધ્યા ગરબા સીઝન 3 માં દિવ્યા ચૌધરી પરત ફરશે

Reporter1

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ

Reporter1

Leave a Comment

Translate »