૭.૮ ટકા વિકાસ દર મુદ્દે કોંગ્રેસના પ્રહાર
સામાન્ય જનતા આજે પણ બેરોજગારી, મોંઘવારી અને આર્થિક અસમાનતાથી પીડાઈ રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ સપ્ટેમ્બર ૨૦૨૬ — નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ રેટ ૭.૮ ટકા નોંધાયા બાદ દેશના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિકાસદરને દેશની જનતાની મહેનત, સામૂહિક શક્તિ અને મજબૂત ઇચ્છાશક્તિનું પરિણામ ગણાવ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે આ આંકડાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ પર સવાલો ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર ય્ડ્ઢઁના આંકડાને સફળતા તરીકે રજૂ કરી રહી છે, પરંતુ સામાન્ય નાગરિકો સામે બેરોજગારી, મોંઘવારી અને આર્થિક અસમાનતા જેવા ગંભીર પડકારો યથાવત્ છે.
ખડગેએ દેશની સ્થિતિને ‘3U’ સાથે જોડીને સરકારને ઘેરી હતી. તેમના જણાવ્યા મુજબ ‘Unprecedented Unemployment’ એટલે કે અભૂતપૂર્વ બેરોજગારી, ‘Unbearable Inflation’ એટલે કે અસહ્ય મોંઘવારી અને ‘Unbridled Inequality’ એટલે કે અનિયંત્રિત આર્થિક અસમાનતા સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બની છે.
કોંગ્રેસ અધ્યક્ષે ખાસ કરીને યુવાનોમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમના દાવા મુજબ ગ્રેજ્યુએટ થયેલા લગભગ ૪૦ ટકા યુવાનો બેરોજગાર છે. તેમણે કહ્યું કે રોજગારની પૂરતી તકો ઊભી કર્યા વિના માત્ર GDPના વધતા આંકડાને આધારે દેશની આર્થિક સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી શકાય નહીં.
મોંઘવારી મુદ્દે પણ ખડગેએ સરકારને ઘેરી હતી. તેમણે દાવો કર્યો કે રિટેલ મોંઘવારી ૧૯ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. ખાંડ, ડુંગળી, ટામેટાં, દાળ, ચોખા અને દૂધ જેવી રોજિંદા જરૂરિયાતની વસ્તુઓના ભાવ સામાન્ય પરિવારોના બજેટ પર અસર કરી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો.
આર્થિક અસમાનતા અંગે ખડગેએ સંપત્તિના અસમાન વિતરણનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે દાવો કર્યો કે દેશની મોટી સંપત્તિનો હિસ્સો મર્યાદિત સંખ્યામાં અમીર લોકો પાસે કેન્દ્રિત છે. સાથે જ તેમણે કોર્પોરેટ દેવા માફી અંગે પણ સરકાર પાસે સ્પષ્ટતા માગી.
બીજી તરફ વડાપ્રધાન મોદીએ ૭.૮ ટકા GDP ગ્રોથને ભારતની મજબૂત આર્થિક સ્થિતિનો સંકેત ગણાવ્યો. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો, યુદ્ધની પરિસ્થિતિ અને સપ્લાય ચેઇન સંબંધિત મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.
આમ, એક તરફ સરકાર વિકાસદરને ભારતની આર્થિક પ્રગતિ તરીકે રજૂ કરી રહી છે, જ્યારે વિપક્ષ રોજગાર, મોંઘવારી અને અસમાનતાના મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે. GDPના આંકડા વચ્ચે ઊભો થયેલો આ રાજકીય વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

