વડોદરા સાયબર ક્રાઇમની ફરિયાદને આધારે ખાતુ સ્થગિત કરાયું હતું
હાઇકોર્ટે દિલ્હીના એક વ્યક્તિનું બેંક ખાતું તાત્કાલિક ડિફ્રીઝ કરવાનો પણ એચડીએફસી બેન્કને આદેશ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૪ મે ૨૦૨૬ — દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશમાં જણાવ્યું હતું કે કોઈ FIR, આરોપ અથવા ન્યાયિક આદેશ વગર કોઇ વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી શકાય નહીં. એકાઉન્ટને સતત ફ્રીઝ રાખવું સંપૂર્ણપણે મનસ્વી અને ગેરકાયદે છે. હાઇકોર્ટે દિલ્હીના એક વ્યક્તિનું બેંક ખાતું તાત્કાલિક ડિફ્રીઝ કરવાનો પણ એચડીએફસી બેન્કને આદેશ આપ્યો હતો. તુષાર વર્મા નામના અરજદારની અરજી પર હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. વડોદરાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ફરિયાદને પગલે એચડીએફસી બેન્ક વર્માનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યું હતું. અરજદારએ જણાવ્યું હતું કે ૮ નવેમ્બર ૨૦૨૪એ તેમને તેમના ભાઈ પાસેથી રૂ.૮૭,૬૯૪ મળ્યા હતાં. આ પછી ૧૬ જાન્યુઆરી ૨૦૨૫એ ગુજરાત સાયબર પોલીસની ફરિયાદના આધારે બેંકે તેમના ખાતાના રૂ.૪૧,૮૯૬.૯૨ ફ્રીઝ કરી દીધા હતાં. આ પછી ૨૨ માર્ચ અને ૧૮ એપ્રિલ ૨૦૨૫એ ખાતામાં રહેલી બાકીની સંપૂર્ણ રકમ પણ ફ્રીઝ કરી દેવામાં આવી હતી. અરજદારે દલીલ કરી હતી કે તેમની સામે કોઈ FIR નોંધાઈ નથી અને તેઓને કોઈ તપાસમાં ન તો સમન્સ મોકલાયું છે કે ન તો શંકાસ્પદ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ગુજરાતની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની એકમાત્ર ફરિયાદને આધારે આ ખાતુ ફ્રીઝ કરાયું હતું. અદાલતે નોંધ્યું હતું કે તપાસ એજન્સીએ કોઈ જવાબ દાખલ કર્યો નથી. વધુમાં અરજદાર કોઇ ગુના સાથે કનેક્શન ધરાવતા હોવાના કોઇ પુરાવા પણ રજૂ કર્યા નથી. તેથી ખાતું સતત ફ્રીઝ રાખવું કાયદાકીય રીતે યોગ્ય નથી. બેંકે પણ સક્ષમ અદાલતનો કોઈ આદેશ રજૂ કર્યો નથી. આ અરજદારનાં બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે.

