બનાસકાંઠા અને મહેસાણામાં શોકની કાલિમાત
કાંકરેજના ચાંગા ગામના ૩ વર્ષીય બાળકનું મોત નિપજ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા, તા.૨૯ જુલાઈ ૨૦૨૬ — રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ઉત્પાત સતત વધી રહ્યો છે અને તે નાના બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વાયરસના વધતા સંક્રમણ વચ્ચે વધુ બે માસૂમ બાળકોના મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ૩ વર્ષીય બાળક અને મહેસાણા જિલ્લાની એક માસૂમ બાળકીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા ચાંગા ગામના ૩ વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકના સેમ્પલનો ચાંદીપુરા વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધારપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન બાળકની તબિયત વધુ લથડતાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક આરોગ્ય વિભાગ તુરંત હરકતમાં આવ્યું છે અને ગામમાં સર્વેલન્સ તથા દવા છંટકાવની કામગીરી હાથ ધરી છે.
બીજી તરફ મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસે પોતાનો પંજો ફેલાવ્યો છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની એક બાળકી આ વાયરસની ચપેટમાં આવી ગઈ હતી. ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં આ પ્રથમ મોત નોંધાયું છે, જેનાથી ગ્રામજનો અને આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બાળકીને ગંભીર હાલતમાં વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે જીવ ગુમાવ્યો હતો.
રાજ્યમાં એક પછી એક બાળકો ચાંદીપુરા વાયરસનો ભોગ બની રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન ચેકિંગ અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (રેતીની માખી) દ્વારા ફેલાય છે. જો નાના બાળકોમાં અચાનક તીવ્ર તાવ, ઉલટી-ઉબકા, આંચકી આવવી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલ કે ડૉક્ટરનો સંપર્ક કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

