અંબાજીમાં પોલીસ પર હુમલો
આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર બે શખ્સોએ લાકડી અને પથ્થરોથી હુમલો કરી પોલીસ વાનમાં તોડફોડ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૨ જૂન ૨૦૨૬ — ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય નાગરિકો તેમજ પોલીસ પર હુમલા અને તોડફોડની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. અમદાવાદના મેઘાણીનગર અને રાણીપ વિસ્તારમાં બૂટલેગરો તેમજ ગુંડાઓએ રાત્રી દરમિયાન ખુલ્લેઆમ દારૂ પીને આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ તત્વોએ ઘરો પર પથ્થરમારો કર્યો, વાહનો સળગાવ્યા અને મહિલાઓની છેડતી કરી હતી. અંબાજીમાં તો આરોપીઓએ પથ્થરો અને લાકડીઓ વડે સીધો પોલીસ કર્મચારીઓ પર જ જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ પોલીસની ટીમો પણ દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં જ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા.
અમદાવાદના મેઘાણીનગરના કલાપીનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ સોસાયટી બહાર દારૂ પીધા બાદ ઘરો પર પથ્થરમારો કર્યો અને હથિયારો સાથે વાહનોમાં તોડફોડ કરી આગચંપી કરી હતી. સ્થાનિકોનો આરોપ છે કે અહીં બહેન-દીકરીઓની છેડતી થતી હોવાથી તેઓ બહાર નીકળી શકતા નથી. આવી જ રીતે રાણીપની પુનિતનગર સોસાયટીમાં બૂટલેગરો દ્વારા મહિલાની છેડતી કરાતા અને પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાતા રોષે ભરાયેલા રહીશો સીધા કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. રહીશોએ પોલીસ અને બૂટલેગરોની સાંઠગાઠ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
સ્થાનિકોનો આરોપ છે કે બુટલેગરો સોસાયટીના મુખ્ય દરવાજા આગળ ખુલ્લેઆમ દારુ અને નશીલા પદાર્થોનું વેચાણ કરે છે. સાથે જ સ્થાનિકોને પણ ધમકીઓ આપે છે. સોસાયટીના લોકોનો આરોપ છે કે વર્ષોથી આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોવા છતા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. બુટલેગર અને પોલીસની સાંઠગાઠ હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ, અંબાજીના આઠ નંબર વિસ્તારમાં એક આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર બે શખ્સોએ લાકડી અને પથ્થરોથી હુમલો કરી પોલીસ વાનમાં તોડફોડ કરી હતી. જોકે સ્થાનિકોએ પોલીસને બચાવી લીધી હતી અને બાદમાં હુમલાખોરો ઝડપાયા હતા. આ સિવાય ગીર સોમનાથના ડારી ટોલ બુથ પર ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થવાના મુદ્દે મોરબી ભાજપ મહામંત્રી તપન દવે અને ટોલ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી, જેમાં પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી ૧૨ કર્મચારીઓને રાઉન્ડઅપ કર્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ડારી ટોલ બુથ પર બબાલ થઈ હતી. મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે અને ટોલબુથના કર્મચારીઓ વચ્ચે થઈ મારામારી થઈ હતી.
ટોલબુથનો ફાસ્ટેગ બ્લેક લિસ્ટ થઈ જતા તપન દવેની કાર પસાર ન થવા દેતા પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ. બાદમાં એ જ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ.. જો કે મારામારીના થોડા સમય બાદ જ વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા આ જ ટોલબુથ પરથી પસાર થતા સમગ્ર ઘટનાની જાણ થતા જગદીશ મકવાણાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેની ફરિયાદના આધારે ટોલબુથ પરના ૧૨ કર્મચારીઓને રાઉન્ડઅપ કર્યા.. તો સામે ટોલબુથના કર્મચારીઓએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

