Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારે વરસાદથી આસામમાં ૮૭ તો કેરળમાં ૨૫ના મોત

ઓડિશામાં ૮ લાખ લોકો પ્રભાવિત

દેશભરના વિવિધ રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે, કેરળ અને આસામ સૌથી વધુ પ્રભાવિત થયા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ ઓગસ્ટ ૨૦૨૬– દેશભરના વિવિધ રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. કેરળ અને આસામ સૌથી વધુ પ્રભાવિત થયા છે, જ્યાં સતત મૂશળધાર વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કેરળમાં ભારે વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં ૨૫ લોકોના મોત થયા છે, જ્યારે ચાર ગુમ છે. દરમિયાન, આસામમાં મૃત્યુઆંક ૮૭ પર પહોંચી ગયો છે. બંને રાજ્યોમાં હજારો લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી છે, અને વહીવટીતંત્ર સતત બચાવ કામગીરીમાં રોકાયેલું છે.

૧, ઓગસ્ટથી કેરળમાં સતત ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૨૫ લોકો મૃત્યુ પામ્યા છે, ચાર ગુમ થયા છે અને ૧૦ અન્ય ઘાયલ થયા છે. ભારે વરસાદને કારણે ૫૨ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે ૫૬૫ને આંશિક નુકસાન થયું છે. રાજ્યભરમાં સ્થાપિત ૪૦૦થી વધુ રાહત શિબિરોમાં ૧૮,૦૦૦થી વધુ લોકો રહે છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પત્તનમથિટ્ટા, કોટ્ટાયમ અને અલાપ્પુઝાનો સમાવેશ થાય છે, જ્યાં ઘણા નીચાણવાળા વિસ્તારો હજુ પણ ડૂબી ગયા છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) મુજબ, કેરળમાં ૧ થી ૪ ઓગસ્ટ દરમિયાન ૨૦૫.૮ મીમી વરસાદ નોંધાયો છે, જ્યાં સામાન્ય વરસાદ ૭૩.૨ મીમી છે. આનો અર્થ એ થયો કે રાજ્યમાં સામાન્ય કરતાં ૧૮૧ ટકા વધુ વરસાદ પડ્યો છે.

વરસાદ અને પૂરમાં હજારો પરિવારોના મહત્વપૂર્ણ દસ્તાવેજો, બાળકોના શાળાના પુસ્તકો અને ઘરવખરીનો સામાન વહી ગયો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે અસરગ્રસ્તો માટે દસ્તાવેજો ફરીથી જાહેર કરવા અને બાળકોને નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવા માટે ખાસ અદાલતોની સ્થાપના કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ઘર અને આજીવિકા ગુમાવનારાઓને તાત્કાલિક નાણાકીય સહાયની ખાતરી આપી છે. વધુમાં, દરેક વોર્ડમાં સફાઈ કાર્ય માટે ૨૫,૦૦૦ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે અનેક નદીઓમાં પાણીનું સ્તર ભયજનક સપાટીની ઉપર વહી રહ્યું છે. જોકે હવે તે ધીમે ધીમે ઘટી રહ્યું છે. વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ કટોકટી હજુ સંપૂર્ણપણે ટળી નથી. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં શિવસાગર જિલ્લામાં વધુ બે લોકોના મોતથી આ વર્ષે પૂરથી મૃત્યુઆંક ૮૭ થયો છે. રાજ્યના છ જિલ્લા હજુ પણ પૂરની ઝપેટમાં છે, જે આશરે ૧.૨૮ લાખ લોકોને અસર કરે છે. સૌથી વધુ અસરગ્રસ્ત શિવસાગર જિલ્લામાં ૫૫,૦૦૦થી વધુ લોકો પ્રભાવિત છે, જ્યારે ચરાઈદેવ અને જોરહાટમાં હજારો લોકો પૂરથી ઝઝૂમી રહ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પૂરગ્રસ્ત લોકો માટે રૂ.૧૧૦ કરોડના પ્રારંભિક રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક સર્વે શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં પૂરમાં ૬ લોકો મૃત્યુ પામ્યા છે અને ૩,૫૬૭ ઘરોને નુકસાન થયું છે. સરકારે નિર્દેશ આપ્યો છે કે પાત્ર પરિવારોને ટૂંક સમયમાં વળતર આપવામાં આવે. સંપૂર્ણપણે નુકસાન પામેલા ઘરો માટે રૂ.૧.૨ લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે, જ્યારે પાક અને પશુધનના નુકસાનની ભરપાઈ પણ જીડ્ઢઇહ્લ ધોરણો મુજબ કરવામાં આવશે. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં પૂરથી લગભગ ૮.૬૪ લાખ લોકો પ્રભાવિત થયા છે.

Related posts

કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો

Master Admin

દેશના હિત અને વ્યાપારી ધોરણોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ જ રહેશે

Master Admin

સપાના ૨૫-૨૬ સાંસદો ભાજપમાં જોડાવા તૈયાર

Master Admin

Leave a Comment

Translate »