- પાકિસ્તાનમાં આવું કરવાની હિમ્મત જ નથી
- વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવું સરળ નથી, મને નથી લાગતું કે, પાકિસ્તાન આવું કરી શકશે : રહાણે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૬: T20 વર્લ્ડ કપના બહિષ્કારની ગીધડ ધમકી આપી રહેલા પાકિસ્તાનને અજિંક્ય રહાણેએ તતડાવ્યું છે. રહાણેએ કહ્યું કે, પાકિસ્તાનમાં આવું કરવાની હિમ્મત જ નથી. વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવું સરળ નથી. મને નથી લાગતું કે, તે (પાકિસ્તાન) આવું કરી શકશે. તેમનામાં એટલી હિમ્મત જ નથી.
T20 વર્લ્ડ કપ ૭ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે તેનું આયોજન કરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન તેમાં ભાગ લેશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી. એવી રિપોર્ટ પણ સામે આવી છે કે, જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ લેશે, તો તેના ખેલાડીઓ બાંગ્લાદેશ અંગે ICCના નિર્ણયનો વિરોધ કરવા માટે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરશે.
T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશનું પત્તું કપાયા બાદથી જ પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને તેના સમર્થનમાં વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ગીધડ ધમકી આપી રહ્યું છે. બાંગ્લાદેશ ભારતમાં તેની વર્લ્ડ કપ મેચો ન રમવા પર અડગ હતું અને પોતાની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવાની માગ કરી રહ્યું હતું. ICCએ તેમની આ માગ ફગાવી દીધો તો તેણે વર્લ્ડ કપમાં રમવાનો ઈનકાર કરી દીધો છે. હવે ICCએ બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને T20 વર્લ્ડ કપમાં સામેલ કર્યું છે.
IPL ફ્રેન્ચાઈઝી KKR દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દેવાયા બાદ બાંગ્લાદેશે વર્લ્ડ કપ માટે નખરા ચાલુ કર્યા હતા. બાંગ્લાદેશની ટીમે એક પણ મેચ રમ્યા વિના વર્લ્ડ કપમાંથી બહાર થઈને તેના આ નખરાની કિંમત ચૂકવવી પડી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ચાહકો અને પત્રકારોને ભારતમાં ખતરો બતાવ્યો હતો, પરંતુ ICCએ આ વાતને પાયાવિહોણી ગણાવી હતી.
બાંગ્લાદેશ મુદ્દે ICCના તમામ બોર્ડ મેમ્બર્સની મીટિંગ થઈ હતી અને વોટિંગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. માત્ર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જ BCB વલણની તરફેણમાં વોટિંગ કર્યું હતું, જ્યારે અન્ય તમામ બોર્ડ મેમ્બર્સે તેની વિરુદ્ધ વોટિંગ કર્યું હતું.
બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરવા પર પાકિસ્તાની મીડિયામાં એવી અટકળો શરૂ થઈ છે કે, પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાથી પીછે હટ કરી શકે છે. જો તે સમગ્ર ટુર્નામેન્ટનો બહિષ્કાર ન પણ કરે તો, ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરી શકે છે. PBC આ મામલે હજુ સુધી અંતિમ નિર્ણય નથી લીધો અને આ મુદ્દા પર તેણે પાકિસ્તાન સરકાર સાથે ચર્ચા કરી છે.

