Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

માત્ર કડક કાયદા કોઈ સમસ્યાનો ઉકેલ નથી

હું બોલું તો તમે બોલશો કે બોલે છે

સંજય શ્રીવાસ્તવ
(મો) ૭૦૦૦૫ ૮૬૬૫૨

નકલ માફિયાઓ સામે એક કાયદો ૨૦૨૪માં પણ આવ્યો હતો, તે છતાં નકલ માફિયાઓ કોઈ પણ રોકટોક વગર પોતાનું કામ કરતા રહ્યા. નિર્ભયા કેસમાં બળાત્કાર સામે પણ કડક કાયદા બન્યા હતા, પરંતુ તે છતાં બળાત્કારની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ઉત્તર પ્રદેશમાં આયે દિન અસામાજિક તત્વોના એન્કાઉન્ટર થતા રહે છે, છતાં ત્યાં ગુનાખોરીમાં કોઈ ઘટાડો આવ્યો નથી. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો ક્યારેય સુધરતા નથી, તેમના પર લગામ લગાવવા માટે તમારે આવા વ્યક્તિઓને તેમના પ્રથમ ગુના પર જ મૃત્યુદંડની સજા આપી દેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિનું કુદરતી ચરિત્ર ક્યારેય બદલાતું નથી. જે જન્મજાત અપરાધી છે, તે જીવનભર ગુના જ કરશે. આ સત્યને કોઈ પણ યુગમાં નકારી શકાય તેમ નથી.

તાજેતરમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા દિલ્હીના જંતર મંતર પર એક પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની મુખ્ય માંગ હતી કે શિક્ષણ મંત્રી તાજેતરના દિવસોમાં જે પેપર લીક થયું તેની નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું આપે. આ જે પ્રદર્શન હતું તે અમુક અંશે વાજબી હતું કારણ કે આ જવાબદારી કોઈકે તો લેવી જ પડશે. જોકે સીધી રીતે આ પેપર લીકમાં શિક્ષણ મંત્રીની કોઈ સીધી જવાબદારી હોતી નથી. પેપર લીક ત્રણ-ચાર તબક્કે થવાની શક્યતા હોય છે. એક તો પેપર સેટર પોતે જ તેને લીક કરી દે. હમણાં જે નીટ (દ્ગઈઈ્‌) નું પેપર લીક થયું હતું તેમાં પેપર સેટર જ આરોપી હતા. બીજું જ્યાં પેપર પ્રિન્ટ થાય છે. ત્રીજું જે માધ્યમથી પેપર મોકલવામાં આવે છે. અને ચોથું પરીક્ષા કેન્દ્ર જ્યાંથી પેપર લીક થઈ શકે છે. પરંતુ આ પેપર લીક કેસમાં તેના મૂળ સુધી જવાની જરૂર છે જેના તરફ કોઈ ધ્યાન આપી રહ્યું નથી.

વાસ્તવમાં તેના મૂળમાં કોચિંગ સંસ્થાઓ છે જે આ દેશમાં શિક્ષણ માફિયા તરીકે ફૂલીફાલી રહી છે. ખરેખર આ બધા પાછળ આપણી શિક્ષણ વ્યવસ્થા છે. જ્યારથી આ દેશમાં પ્રાઈવેટ શાળાઓનો ટ્રેન્ડ શરૂ થયો ત્યારથી આ દેશમાં શિક્ષણ માફિયાઓનો ઉદય થયો. અમારી ઉંમરના લોકો સરકારી શાળાઓમાં ભણીને જ શિક્ષિત થયા છે. તે જમાનાના લોકોમાં ભાભા જેવા વૈજ્ઞાનિક પણ થતા હતા. આ દેશમાં જ્યારથી પ્રાઈવેટ શાળાઓનો ટ્રેન્ડ શરૂ થયો ત્યારથી સરકારી શાળાઓનું પતન થઈ ગયું. હવે ન તો સરકારી શાળાઓમાં યોગ્ય શિક્ષકો છે ન તો તેમાં ભણતા યોગ્ય બાળકો. સરકારી શાળાઓમાં એવા બાળકો ભણવા જાય છે જે અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે અને તે બાળકો થોડા દિવસો પછી શાળામાંથી ડ્રોપઆઉટ થઈ જાય છે. કેટલાક બાળકો પ્રાથમિક શાળાઓમાં માત્ર મિડ-ડે મિલ (મધ્યાહન ભોજન) માટે આવે છે. માત્ર ખાવાના લોભમાં શાળાએ આવવું એ આ દેશ માટે શરમજનક બાબત હોવી જોઈએ. પરંતુ આ દેશમાં આવું થઈ રહ્યું છે.

યોગ્યતા વિના શિક્ષકોની બહાલી એ માત્ર રાજકીય પક્ષો માટે રોજગારી આપવાનું એક બહાનું બની ગયું છે. એવા લોકો શિક્ષક બની રહ્યા છે જેમને સાદા અક્ષરે ’સ્કૂલ’ લખતા પણ આવડતું નથી. જથ્થાબંધ ભરતી કરવાથી આવું જ પરિણામ આવે છે. આજે સરકારી શાળાઓમાં ૯૦ ટકા અયોગ્ય શિક્ષકો ભરેલા છે અને તેઓ મજાથી નોકરી કરી રહ્યા છે. અને મજાની વાત એ પણ છે કે તે શિક્ષકો પાસેથી ભણાવવા સિવાયના તમામ કામ કરાવવામાં આવે છે, જેમ કે વસ્તીગણતરીથી લઈને ચૂંટણી પ્રક્રિયા સુધી. સરકારી શિક્ષક માત્ર બિનજરૂરી કામ માટે જ બહાલ થયો છે. ભણાવવું-લખાવવું તો તેના માટે ટાઈમપાસ છે.

તેથી મારું સ્પષ્ટ માનવું છે કે તમામ પ્રાઈવેટ શાળાઓને સરકારી શાળાઓમાં રૂપાંતરિત કરી દેવી જોઈએ. આ દેશમાં કોઈ પ્રાઈવેટ શાળા કે કોલેજ ચાલવી જોઈએ નહીં. જે રીતે એક ઝાટકે ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું તે જ રીતે શાળાઓનું પણ રાષ્ટ્રીયકરણ થવું જોઈએ. આ ઉપરાંત આ દેશમાં જે પણ કોચિંગ સંસ્થાઓ છે તેના પર તાત્કાલિક અસરથી રોક લાગવી જોઈએ. શિક્ષકોએ માત્ર શાળામાં જ બાળકોને શિક્ષણ આપવું જોઈએ. જો આવું નહીં થાય તો તમે માનો કે આયે દિન પેપર લીક થતા રહેશે. તમે કેટલા શિક્ષણ મંત્રીઓના રાજીનામા લેશો?

આ મામલે સરકારનું ઢીલું વલણ સામે આવ્યું. સરકારને એ જરાય અહેસાસ નહોતો કે આ આંદોલન આટલું વ્યાપક બની જશે. પહેલા સરકારને લાગ્યું કે જંતર મંતર પર ચાર-પાંચસો બાળકો ભેગા થઈને શું કરી લેશે. સોનમ વાંગચુક દ્વારા કરવામાં આવેલી ભૂખ હડતાળની પણ ખૂબ અસર થઈ. આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં ખૂબ જ ઝડપથી કોઈ પણ વસ્તુ વાયરલ થઈ જાય છે. સંસદ તરફ જે માર્ચ હતી તેમાં અંદાજ કરતાં વધુ લોકો સામેલ થઈ ગયા, જેમાં કેટલાક અસામાજિક તત્વો પણ હતા. પોલીસને આનો જરાય અંદાજ નહોતો. અને આ સરકારની મોટી નિષ્ફળતા છે. સરકારનું માહિતી તંત્ર સાવ નાકામ છે અને આ અનેક કિસ્સાઓમાં સાબિત થઈ ચૂક્યું છે. જ્યારે ગુપ્તચર એજન્સીઓ નિષ્ફળ જાય ત્યારે આવી સ્થિતિ નિર્માણ થવી સ્વાભાવિક છે.

ખેડૂત આંદોલન સમયે પણ આવું જ થયું હતું. લાલ કિલ્લા પર કેટલાક અસામાજિક તત્વો ચડી ગયા હતા. ખેડૂત આંદોલનમાં પણ મોદી સરકારની કચવાટ થઈ હતી. સરકારે તે કાયદો પાછો ખેંચવો પડ્યો હતો પણ એક વર્ષ પછી. જો કાયદામાં ખામીઓ હતી તો તેને તરત જ પાછો ખેંચવો જોઈતો હતો. જો કાયદો બરાબર હતો તો લોકો વચ્ચે જઈને તેમને તેના ફાયદા જણાવવા જોઈતા હતા. અત્યારે પણ જો શરૂઆતમાં જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થઈ ગયું હોત તો આટલો બખેડો ઊભો ન થયો હોત. આ મામલે પણ સરકારની ઊંઘ મોડી ઊડી.

અત્યારથી જ સરકારે સચેત થઈ જવું જોઈએ. જો જનતાની વાજબી માંગ છે તો તેને અણસાંભળી ન કરવી જોઈએ. વાસ્તવમાં આ મુદ્દો ઘણા દિવસોથી સળગી રહ્યો હતો અને સરકાર તેના તરફ ધ્યાન આપી રહી નહોતી. હજુ પણ કોઈ ગેરંટી નથી કે પેપર લીક નહીં થાય. વાસ્તવમાં પરીક્ષા વ્યવસ્થા અને શિક્ષણ પ્રણાલીમાં આમૂલચૂલ પરિવર્તન કરવાની જરૂરિયાત છે, તેના વગર કશુંય સુધરવાનું નથી. જ્યાં સુધી શિક્ષણ પ્રણાલીમાં સુધારો નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ બનતી રહેશે.

આપણી આજની શિક્ષણ વ્યવસ્થામાં લાયકાત પર નહીં પરંતુ બાળકોની ગોખણપટ્ટી પર ધ્યાન આપવામાં આવે છે. આજની પરીક્ષામાં માત્ર એ જ બાળકો ક્વોલિફાય કરી જાય છે જેમણે માત્ર કોઈ વિષયને ગોખી લીધો છે. તેને વિષયની સમજ ભલે શૂન્ય હોય, તે પાસ થઈ જાય છે. આપણને આવી વ્યવસ્થા જોઈતી નથી. ઘણા વેપારીઓ અભણ હોય છે પરંતુ તેઓ પોતાનું આર્થિક સામ્રાજ્ય પોતાની બુદ્ધિથી ઊભું કરી દે છે. માત્ર પોપટની જેમ ગોખી લેવાથી આપ વિદ્વાન નહીં બની જાઓ. શિક્ષણ બાળકોને તેમની પસંદગી મુજબ હોવું જોઈએ. બાળકને ઈતિહાસમાં રસ છે તો તે માત્ર ઈતિહાસ જ ભણે. તેને ભૂગોળ ભણાવીને તેનો સમય બગાડીશું.

આજકાલ બાળકો કરતાં તેમના માતા-પિતા વધુ પરેશાન રહે છે. જેટલો સમય તેમણે પોતાના ભણતર વખતે નહોતો આપ્યો એટલો કિંમતી સમય આજે તેઓ બાળકો માટે આપે છે. બાળકો પર ભણતરનો બોજ ન હોવો જોઈએ. દરેક બાળકમાં કોઈને કોઈ વિશેષ ગુણ ચોક્કસ હોય છે અને આપણને તેને નિખારવાની જરૂર છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા ઉપરાંત સરકારે પોતાની શિક્ષણ નીતિમાં સુધારો કરવો પડશે. વર્તમાન વ્યવસ્થાથી કશુંય સુધરવાનું નથી. મોદી સરકાર માટે આ સુવર્ણ તક છે કે તેઓ પોતાના કાર્યકાળમાં શિક્ષણ પદ્ધતિમાં બુનિયાદી સુધારા કરે. શિક્ષણ સંપૂર્ણપણે સરકારની જવાબદારી છે અને તે સરકારી નિયંત્રણમાં જ રહેવું જોઈએ. શિક્ષણનો અભ્યાસક્રમ બદલાવો જોઈએ. બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવાની જરૂર છે. ટેકનિકલ શિક્ષણ આઠમા ધોરણથી જ શરૂ કરી દેવું જોઈએ. આજે મોટર ગેરેજમાં જે નાના-નાના બાળકો કામ કરે છે તેઓ યુવાવસ્થામાં આવતા સુધીમાં તમામ ગુણો શીખી જાય છે. તેઓ અસાધારણ મિકેનિક બની જાય છે. તેઓ ક્યારેય શાળા કે કોલેજનું મોઢું પણ જોતા નથી. આપણને આ પ્રકારના શિક્ષણની જરૂર છે. સરકારે આ દિશામાં ધ્યાન આપવું જોઈએ.

Related posts

વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ

Reporter1

માસિક પીરિયડ્સ દરમિયાન મહિલાઓને થતી સમસ્યા

Master Admin

કમોસમી વરસાદ અને જોરદાર વાવાઝોડાએ ખેડૂતોની ચિંતા વધારી, ગુજરાતમાં હવામાનનો કહેર પડકારજનક

Master Admin

Leave a Comment

Translate »