હાલારના ક્ષત્રિય સમાજનો નિર્ણય – કોંગ્રેસને તો મત નહીં જ આપીએ

 

 

 

 

સમગ્ર ગુજરાતની જેમ જ હાલાર પણ 7મી મે 2024ના રોજ મતદાન કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી જામનગર-દ્વારકા લોકસભા મતવિસ્તારની સેવા અને પ્રગતિમાં સિંહફાળો આપી રહેલા હાલારના જ દીકરી એવા પૂનમબહેન માડમ ત્રીજી વાર માટે મેદાનમાં છે, ત્યારે હાલારના સર્વસમાજની જેમ જ ક્ષત્રિય સમાજ પણ પૂનમબહેનની સાથે ઊભેલું દેખાઈ રહ્યું છે.

થોડા સમય પહેલા રાજકોટમાં બનેલી એક ઘટનાના પ્રત્યાઘાતરૂપે ક્ષત્રિય સમાજમાં વિરોધનો વાવંટોળ ફૂંકાયો હતો, જોકે આ ઘટનાના પરિણામમાં કોંગ્રેસને પોતાનો રાજકીય રોટલો શેકવાનો અવસર દેખાયો હતો. કોંગ્રેસના લોકોને એમ હતું કે ભાજપ સામે રોષના લીધે ક્ષત્રિય સમાજ તેમને મત આપશે, પરંતુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ કોંગ્રેસની આ ગણતરીને ઊંધી પાડી દીધી છે. સમજદારો પણ જાણે છે કે જો આપણને ઘોડો પસંદ નથી તો ગધેડો ન લવાય એમ જ ભાજપ સામે નારાજગી હોય તો પણ કોંગ્રેસને તો મત ન જ અપાય. કેમ કે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ સિવાય બીજું કંઈ પણ કરતી જ નથી.

હાલારના ક્ષત્રિય સમાજના મુખ્ય કહી શકાય એવા ધ્રોલ તાલુકાના વિસ્તાર અને 10 જેટલા ગામોના સરપંચશ્રીઓ, સરપંચ એસોસિએશનના પ્રમુખશ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી એવા ગોવુભા ડાડા, સીઆર જાડેજા, રાજભા જાડેજા, લખધીરસિંહજી, નવલસિંહજી, પ્રવીણસિંહ ઝાલા જેવા આગેવાનોની હાજરીમાં ઘણાં વડીલો અને યુવાનોની એક ચર્ચાસભા યોજાઈ હતી. આ સભામાં સાંસદ શ્રી પૂનમબહેન માડમ, ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પણ હાજર રહ્યા હતા.

ક્ષત્રિયોની નારાજગીના પ્રશ્ને વિશદ્ ચર્ચા થઈ હતી, જો કે હાલારના સર્વસમાજના દીકરી એવા પૂનમબહેન માડમની પહેલથી ક્ષત્રિય સમાજના આગેવાનોએ મતદાન સુધી શાંતિ જાળવવી અને સમગ્ર મતદાનની પ્રક્રિયાને શાંતિમય રીતે થવા દેવાની હામી ભરી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે ભાજપની સામે ક્ષત્રિય સમાજની નારાજગીને કોંગ્રેસનું સમર્થન નથી ગણવાનું અને ઉપરાંત અને કોંગ્રેસને તો મતદાન નહીં જ કરીએ એવી ખાતરી પણ આપી હતી.

આમ હાલારના સર્વસમાજનું સમર્થન આ વખતે પણ આ વિસ્તારના દીકરી એવા શ્રી પૂનમબહેન માડમની સાથે છે અને હાલારની ધરતી પર વધુ એક વાર તેમને સેવા અને પ્રગતિના કાર્યોમાં જનપ્રતિનિધિ તરીકે સહભાગી થવાનો અવસર મળશે, પ્રચંડ જીત મળશે તેવા ચિહ્નો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.