Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ઇન્જરીના કારણે આખેઆખી વનડે સીરિઝ ગુમાવશે વિરાટ કોહલી

યશસ્વી જયસ્વાલ લેશે જગ્યા

પોતાના ૧૮ વર્ષના લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરમાં વિરાટ કોહલીએ ઇજાના કારણે ખૂબ જ ઓછી વખત મેચ મિસ કરી હશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૯ જૂન ૨૦૨૬ –– ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી ૧૩ જૂનથી શરૂ થઈ રહેલી ૩ મેચોની વનડે સીરિઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ બેટ્‌સમેન વિરાટ કોહલી હૅમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે આ આખી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. વિરાટ કોહલીને આ ઇજા તાજેતરમાં રમાયેલી IPL૨૦૨૬ દરમિયાન થઈ હતી. સીરિઝની પ્રથમ મેચ ૧૩ જૂને ધર્મશાલાના HPCA સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં હવે કોહલીના સ્થાને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

પોતાના ૧૮ વર્ષના લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરમાં વિરાટ કોહલીએ ઇજાના કારણે ખૂબ જ ઓછી વખત મેચ મિસ કરી હશે. ત્યારે ફેન્સના મનમાં સવાલ થાય કે વિરાટ છેલ્લે ક્યારે ઇજાના કારણે વનડે મેચમાંથી બહાર રહ્યો હતો? આવો જાણીએ તેનો ઇતિહાસ.

અફઘાનિસ્તાન સીરિઝ પહેલા વિરાટ કોહલી છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ફિટનેસના કારણે એકપણ મેચમાંથી બહાર રહ્યો નહોતો. વિરાટને ફિટનેસ સંબંધિત છેલ્લી સમસ્યા ફેબ્રુઆરી ૨૦૨૫માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલા, ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ દરમિયાન થઈ હતી. નાગપુરમાં રમાયેલી તે વનડે મેચમાં વિરાટ ઘૂંટણની ઇજાના કારણે પ્લેઇંગ XI માંથી બહાર રહ્યો હતો. જોકે, તેની એ ઇજા બહુ ગંભીર ન હોવાથી તે બીજી જ વનડે મેચમાં વાપસી કરવામાં સફળ રહ્યો હતો.

કોહલીના ૧૮ વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં આ પાંચમી કે છઠ્ઠી વાર નથી, પણ તદ્દન પહેલીવાર એવું બન્યું છે જ્યારે તે કોઈ ઇજાના કારણે આખેઆખી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો હોય. આ પહેલા તે માત્ર સાવચેતીના ભાગરૂપે અથવા તો અંગત કારણોસર જ વનડે મેચોમાંથી બહાર રહ્યો છે. શારીરિક થાક અને વર્કલોડ મેનેજમેન્ટના કારણે તે પોતાના કરિયરમાં માત્ર એક જ વાર કોઈ મોટી ટૂર્નામેન્ટમાંથી હટ્યો હતો. વર્ષ ૨૦૧૮માં રમાયેલા એશિયા કપમાં તેણે આરામ કરવાનો નિર્ણય લીધો હતો. તે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાયો હતો, જ્યાં ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ખિતાબ જીત્યો હતો.

વિરાટ કોહલી ટેસ્ટ અને ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે, તેથી તે હવે માત્ર આઇપીએલ અને વનડે ફોર્મેટમાં જ રમતો જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી વિરાટ અદભુત ફોર્મમાં ચાલી રહ્યો છે.IPL ૨૦૨૬માં પણ વિરાટના બેટમાંથી રનનો વરસાદ થયો હતો. આ ટૂર્નામેન્ટમાં તે ૧૬ મેચોમાં ૬૭૫ રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે ગુજરાત ટાઇટન્સ (GT) સામેની ફાઇનલ મેચમાં પણ અણનમ ૭૫ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી.

Related posts

IPL શ્રેષ્ઠ ટીમોમાંથી એક RCB માટે મજબૂત અને સ્પર્ધાત્મક બોલી લગાવીશું

Master Admin

યશ અનિલ રાશિયા : સુરતનો વિશ્વ ચેમ્પિયન જેણે ભારતને રોલ બોલમાં ગૌરવ અપાવ્યું

Master Admin

BCCIએ કેપ્ટન શુભમન ગિલને ફટકારી સજા

Master Admin

Leave a Comment

Translate »